ગુજરાત બજેટ 2026: રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે બજેટમાં નાણામંત્રીએ કરી મોટી જાહેરાત

ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. નાણામંત્રીએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાએ કહ્યું કે, એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું ઘર આપી “ઘર સૌના માટે”નો સંકલ્પ સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી), ડૉ.આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ હેઠળ આ વર્ષે આશરે 3 લાખ 15 હજારથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. જેના માટે ₹4272 કરોડની જોગવાઇ સૂચવું છું. સમાજના પછાત અને નબળા વર્ગના તેમજ આદિજાતિ લોકોના વિકાસ માટે સરકાર હંમેશા સંવેદનશીલ છે.
ગુજરાતમાં 2000 નવી આંગણવાડી બનશે
ગુજરાતમાં 360 કરોડના ખર્ચે 2000 નવી આંગણવાડી બનશે. “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ” સાથે વિકસિત ભારત@2047ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC) દ્વારા અત્યાર સુધીમાં છ અહેવાલો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં નાગરિક-કેન્દ્રિત સેવા, વહીવટી સુધારા તેમજ માનવ સંસાધન જેવા વિષયો પર અસરકારક ભલામણો આપવામાં આવી છે. જેનું અમલીકરણ સુશાસન અને કાર્યક્ષમ વહીવટની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે.
વર્ષ 2026-27નું બજેટ
- પ્રધાનમંત્રી આવાસ યોજના માટે બજેટમાં રૂ. 4272 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- સામાજિક નિગમો માટે બજેટમાં રૂ. 896 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- રાજ્યમાં નવી આંગણવાડી માટે રૂ. 360 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- આરોગ્યમાં પ્રધાનમંત્રી આરોગ્ય અને માં અમૃતમ યોજના માટે રૂ. 3472 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- ગાંધીનગરમાં નમો લાઇબ્રેરી સ્થપાશે.
- રૂ. 100 કરોડના ખર્ચે નામો લાઇબ્રેરી બનાવાશે.
- કૌશલ્ય અને રોજગાર મિશન માટે રૂ. 226 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- મત્સ્યોધ્યોગ માટે રૂ. 1340 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- કિસાન ક્રેડિટ કાર્ડમાં વ્યાજ સહાય આપવા બજેટમાં રૂ. 1539 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- ITI કરતી મહિલાઓ માટે નવી યોજના નમો કૌશલ્ય લક્ષ્મી યોજના માટે રૂ. 40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.