
ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે કે ઉત્તરાયણ. જોકે આ ઉત્તરાયણના તહેવારમાં દર વર્ષે જીવલેણ દોરી, ધાબા પરથી પડી જવાથી કે વીજ કરંટ લાગવાથી અનેક લોકોના મોત પણ થતાં હોય છે. આ તરફ હવે આણંદમાં ઉત્તરાયણ પહેલા જ એક દુખદ ઘટના સામે આવી છે. વિગતો મુજબ અહીં પતંગ ચગાવતા સમયે વીજ કરંટ લગતા 10 વર્ષના નાના બાળકનું મોત થયું છે. આ ઘટનાને લઈ મૃતકના પરિજનો સહિત પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
આણંદ જિલ્લાના ભાણપુરા વિસ્તારમાં પતંગ ચગાવતા સમયે વીજ કરંટ લાગતા 10 વર્ષના બાળકનું કરુણ મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો, આ દરમિયાન પતંગની દોરી નજીકથી પસાર થતી વીજ લાઇનને અડી ગઈ હતી. અચાનક ભારે વીજ કરંટ લાગતા બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જોકે પરિવારજનો તાત્કાલિક જ મદદ માટે દોડી આવ્યા હતા. જોકે કરંટની તીવ્રતાને કારણે બાળકનું સ્થળ પર જ મોત થયું હતું.
