
ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે 1600 કિલોમીટર લાંબી વીજળી કેબલ બિછાવવાના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આમાં 40,000 કરોડ રૂપિયાનો ખર્ચ આવવાનો છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટરે ‘ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ વીક’ દરમિયાન આ માહિતી આપી હતી. આ મેગા પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડ’ (OSOWOG) ના વિઝનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેનો હેતુ સરહદ પાર વીજળી કનેક્ટિવિટી વધારવાનો અને વિશ્વમાં ક્લીન એનર્જીના સોર્સિસ (સોલર એનર્જી, વિન્ડ એનર્જી) ને મજબૂત બનાવવાનો છે.
આ પાવર કેબલ આશરે 1600 કિલોમીટર લાંબી હશે અને તેના દ્વારા 2 ગીગાવાટ વીજળીની આપ-લે થશે. આ કેબલને અરબ સાગરથી પસાર કરીને ગુજરાત ભુજથી સીધી UAE ના તટ સાથે કનેક્ટ કરવામાં આવશે. આમાં સમુદ્રની નીચે 3000-3500 મીટરની ઊંડાઈમાં હાઈ-વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ કેબલ્સ (HVDC) બિછાવવામાં આવશે. આ પ્રોજેક્ટની જવાબદારી સરકારી માલિકીની કંપની પાવર ગ્રીડ કોર્પોરેશન પર છે, જે આને લગભગ 5-6 વર્ષમાં પૂરો કરશે.
ઉર્જા મંત્રીનું કહેવું છે કે ભારત માત્ર UAE સાથે જ નહીં, પરંતુ આ ક્ષેત્રમાં અન્ય કેટલાક દેશો સાથે પણ આ વિઝન પર કામ કરી રહ્યું છે. આમાં સૌથી પહેલું નામ સાઉદી અરેબિયાનું આવે છે, જેની સાથે ભારતે એક અંડરસી (દરિયાઈ) કેબલ પ્રોજેક્ટ માટે 47,000 કરોડની ડીલ કરી છે. આ સિવાય, ભારતનો પ્લાન આગામી સમયમાં શ્રીલંકા, સિંગાપોર અને યુરોપ સુધી પાવર ગ્રીડ નેટવર્કનો વિસ્તાર કરવાનો છે જેથી બાકીની અન્ય વસ્તુઓની જેમ આંતરરાષ્ટ્રીય સ્તરે વીજળીનો વેપાર પણ સરળતાથી થઈ શકે.
આ પ્રોજેક્ટ દ્વારા ભારત પોતાની જરૂરિયાતો પૂરી કર્યા બાદ સરપ્લસ (વધારાની) રિન્યુએબલ એનર્જી નિકાસ ખાડી દેશોમાં કરી શકશે. આના કારણે અલગ-અલગ ટાઈમ ઝોનમાં પણ વીજળીનો સપ્લાય સરળતાથી થઈ શકશે, જેમ કે જો ભારતમાં રાતનો સમય છે તો ખાડી દેશોમાંથી વીજળી લઈ શકાશે અને ભારત દિવસના સમયે તેમને વીજળી મોકલી શકશે. આનાથી બંને દેશો વચ્ચે વેપાર મજબૂત થશે, રાજદ્વારી સંબંધો પણ મજબૂત થશે અને આર્થિક રીતે બંને દેશ આગળ વધશે.
