
દિલ્હીની એક કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકોને હાલ પૂરતું નોટિસ જારી કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે આગામી સુનાવણી 2 મેના રોજ નક્કી કરી છે.કોર્ટે EDને વધુ સંબંધિત દસ્તાવેજો લાવવા જણાવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દલીલ કરી હતી કે નવી કાનૂની જોગવાઈઓ હેઠળ, આરોપીને સાંભળ્યા વિના ફરિયાદ (ચાર્જશીટ) પર ધ્યાન આપી શકાય નહીં.
EDએ કોર્ટને વિનંતી કરી કે “અમે નથી ઇચ્છતા કે આ આદેશ લંબાવવામાં આવે. નોટિસ જારી કરવામાં આવે.”
જોકે, ન્યાયાધીશે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોર્ટને પહેલા આવી નોટિસ જારી કરવાની જરૂરિયાત વિશે ખાતરી કરાવવી પડશે અને ટિપ્પણી કરી હતી કે, “જ્યાં સુધી અમને સંતોષ ન થાય ત્યાં સુધી આવો આદેશ આપી શકતો નથી.”
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2012માં ટ્રાયલ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે, કેટલાક કોંગ્રેસી નેતાઓએ ખોટી રીતે યંગ ઇન્ડિયન લિમિટેડ (YIL) દ્વારા ઍસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ(AJL)નું અધિગ્રહણ કર્યું છે. આ બધું દિલ્હીમાં બહાદુર શાહ ઝફર માર્ગ પર આવેલા હેરાલ્ડ હાઉસની 2000 કરોડ રૂપિયાની બિલ્ડિંગ પર કબજો કરવા માટે કરાયું. ષડયંત્ર હેઠળ યંગ ઇન્ડિયન લિમિટેડને એજેએલની સંપત્તિનો અધિકાર અપાયો છે.
નેશનલ હેરાલ્ડની સ્થાપના જવાહર લાલ નેહરુએ સ્વતંત્રતા સેનાનીઓની સાથે મળીને 1938માં કરી હતી. ઍસોસિએટ્સ જર્નલ્સ લિમિટેડ (AJL) નેશનલ હેરાલ્ડ સમાચાર પત્રની માલિકીની કંપની છે. કોંગ્રેસે 26 ફેબ્રુઆરી 2011એ તેની 90 કરોડની જવાબદારીઓ પોતાના માથે લીધી હતી. તેનો મતલબ એ થયો કે પાર્ટીએ તેને 90 કરોડની લોન આપી દીધી. ત્યારબાદ 5 લાખ રૂપિયાથી આ યંગ ઇન્ડિયન કંપની બનાવવામાં આવી, જેમાં સોનિયા અને રાહુલ ગાંધીની 38-38 ટકા ભાગીદારી છે. બાકીને 24 ટકા ભાગીદારી કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાંડીઝ(બંને હવે દિવંગત)ની પાસે હતી.
આ પછી, ‘યંગ ઇન્ડિયન’ને 10 રૂપિયાના AJLના નવ કરોડ શેર આપવામાં આવ્યા અને બદલામાં યંગ ઇન્ડિયનને કોંગ્રેસનું દેવું ચૂકવવું પડ્યું. 9 કરોડ શેર સાથે, યંગ ઇન્ડિયનને આ કંપનીના 99 ટકા શેર મળ્યા. આ પછી, કોંગ્રેસ પાર્ટીએ પણ 90 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું. તેનો અર્થ એ કે ‘યંગ ઇન્ડિયન’ને AJLની માલિકી મફતમાં મળી.
યંગ ઇન્ડિયન લિમિટેડ(YIL)ની શરુઆત વર્ષ 2010માં થઈ હતી. રાહુલ ગાંધી તે સમયે કોંગ્રેસના મહાસચિવ હતા અને તેઓ આ કંપનીના ડિરેક્ટર પણ બન્યા હતા. આ કંપનીની સ્થાપના 5 લાખ રૂપિયાથી થઈ હતી. આ કંપનીમાં રાહુલ ગાંધી ૩૮ ટકા શેર ધરાવતા હતા અને તેમની માતા સોનિયા ગાંધી ૩૮ ટકા શેર ધરાવતા હતા. બાકીના 24 ટકા શેર કોંગ્રેસના નેતાઓ મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડીઝ, પત્રકાર સુમન દુબે અને કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાના હતા.
આ પણ વાંચો, Breaking news: ભારતમાં અચાનક યુએસ એરફોર્સનું વિમાન જયપુર એરબેઝ પર ઉતર્યું, ઇઝરાયલી લશ્કરી વિમાન પણ પહોંચ્યું
