
કોરોનાકાળ કોને યાદ નહીં હોય, અનેક લોકોએ આ કાળમુખા કોરોનામાં પોતાના સ્વજનો ગુમાવ્યા. આ તરફ હવે ફરી એકવાર દુનિયાભરમાં કોરોનાના કારણે ભયનું વાતાવરણ વધ્યું છે. થાઇલેન્ડ અને સિંગાપોર જેવા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એક ખાનગી મીડિયાના અહેવાલ મુજબ, ભારતમાં આરોગ્ય અધિકારીઓ ઘણા રાજ્યોમાં કોરોનાના કેસોમાં વધારા પર નજીકથી નજર રાખી રહ્યા છે. ભલે એકંદર રાષ્ટ્રીય આંકડા અગાઉની લહેર કરતા ઓછા હોય, ચેન્નાઈ, મુંબઈ અને અમદાવાદ જેવા શહેરોમાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
મીડિયા અહેવાલો મુજબ અત્યાર સુધીમાં ફક્ત મુંબઈમાં જ કોરોનાના 95 કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ આશ્ચર્યજનક છે, કારણ કે જાન્યુઆરીથી મહારાષ્ટ્રમાં ફક્ત 106 કેસ નોંધાયા છે. હાલમાં હોસ્પિટલમાં ઓછામાં ઓછા 16 કોરોના ચેપગ્રસ્ત લોકો દાખલ છે. વધુ ચેપ અટકાવવા માટે કેટલાક દર્દીઓને KEM હોસ્પિટલમાંથી સેવન હિલ્સ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ શ્વસન સમસ્યાઓ અને ઈન્ફલ્યુએન્ઝાથી પીડાતા દર્દીઓ માટે કોરોના પરીક્ષણ પણ શરૂ કરી દીધું છે.
મીડિયા અહેવાલો મુજબ કોરોનાવાયરસના કેસોમાં તાજેતરના વધારાનું મુખ્ય કારણ તેના સબવેરિઅન્ટ્સની વધતી જતી ચેપીતા અને વસ્તીમાં ધીમે ધીમે ઘટતી રોગપ્રતિકારક શક્તિ છે. આ તરફ અડધાથી વધુ લોકો ચેપ અને રસીકરણ દ્વારા વાયરસના સંપર્કમાં આવી ચૂક્યા છે. સમય જતાં તે રોગપ્રતિકારક શક્તિથી રક્ષણ ઘટતું જાય છે.
દેશની વાત કરીએ તો આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં ટોટલ 250 કોરોના કેસ નોંધાયા છે. આ તરફ અમદાવાદમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થયો થયો છે. ગઇકાલે એક જ દિવસમા અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. સુરતમાં 2 રેસીડેન્ટ ડૉક્ટર કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત કડીમાં 3, સુરતમાં 2, રાજકોટ-બનાસકાંઠામાં 1-1 કેસ નોંધાયો છે. નવા કેસના દર્દીઓમાં સામાન્ય તાવ, કફ, શરદીનાં લક્ષણો જોવા મળ્યાં છે. અમદાવાદ શહેરમાં માં અત્યાર સુધીમાં કુલ 29 કોરોનાના કેસ નોંધાયા છે, જેમાંથી 8 દર્દીઓને રજા આપી દેવાઈ છે.
