Site icon Time News

રાજકોટના ઉપલેટામાં ‘આભ ફાટ્યું’: ગામો બેટમાં ફેરવાયા, દ્વારકા-સોમનાથ હાઇ-વે ધોવાયો

 સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અમરેલી, જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. નદીઓમાં ઘોડાપૂર અને દરિયામાં તોફાની મોજાંઓને કારણે વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં ભારે વરસાદના તાંડવ વચ્ચે દ્વારકા-સોમનાથ હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આ ઉપરાંત માંગરોળના અનેક ગામો સંપર્ક વિહોણા છે.

અમરેલીના જાફરાબાદ દરિયાકિનારે ભારે વરસાદની આગાહી વચ્ચે દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ઊંચા મોજાં ઉછળતા હોવાથી તકેદારીના ભાગરૂપે બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 700થી વધુ બોટોને કિનારે લાંગરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને લોકોને દરિયાકિનારાથી દૂર રહેવા કડક સૂચના આપવામાં આવી છે. રેડ એલર્ટના પગલે સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.અમરેલીના દરિયાકાંઠામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાની સ્થિતિ અને તોફાની પવનની ગતિને ધ્યાનમાં રાખીને જાફરાબાદ બંદર પર સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, જ્યાં અત્યારે 10 ફૂટથી પણ વધુ ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. તંત્ર દ્વારા અગમચેતી વાપરીને 700થી વધુ બોટોને કિનારે લાવી સુરક્ષિત રીતે લાંગરી દેવામાં આવી છે, જેમાંથી 300 જેટલી બોટોને ક્રેન વડે જમીન પર ઉપર ચડાવી દેવાઈ છે અને બાકીની બોટો જેટી પર વ્યવસ્થિત રીતે બાંધી દેવાઈ છે.

માંગરોળમાં નોળી નદીના પ્રકોપથી નેશનલ હાઈવેનું ધોવાણ
જુનાગઢના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદના કારણે નોળી નદી ગાંડીતૂર બની છે. નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે સોમનાથ–પોરબંદર નેશનલ હાઈવે પર 40 ફૂટનું મોટું ધોવાણ થયું છે. હાઈવેનો એક ભાગ ધસી પડતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. તંત્ર દ્વારા સલામતી માટે માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને મુસાફરોને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ અને ભીમોરા ગામે મેઘરાજાએ ભારે તબાહી મચાવી છે. લાઠ ગામમાં માત્ર બે કલાકમાં 7 ઇંચ વરસાદ પડતા આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ભારે વરસાદને કારણે ઉપલેટાથી લાઠ, ભીમોરા, મજેઠી અને તલંગણા તરફ જતા રસ્તાઓ ધોવાઈ ગયા છે. રસ્તા પર ચાલી રહેલા કામના ડાઈવર્ઝનનું ધોવાણ થતાં લાઠ ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે મુસાફરોથી ભરેલી એક એસ.ટી. બસ પણ રસ્તા પર પડેલા મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી.

Exit mobile version