
આણંદ જિલ્લામાં વધુ એક ચિંતાજનક બ્રિજ દુર્ઘટનાની ઘટના સામે આવી છે. જિલ્લાના અડાસ ગામ નજીક નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક ભાગ અચાનક તૂટી પડતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, ઓવરબ્રિજના બે પિલર વચ્ચેનો સ્પાન અચાનક ધરાશાયી થઈ ગયો હતો. ઘટનાના સમયે ત્યાં કોઈ કામદાર કે વાહન હાજર ન હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજા નોંધાઈ નથી. જોકે, ઘટનાએ નિર્માણ કાર્યની ગુણવત્તા અને સલામતી અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.
ઘટનાની જાણ થતાં જ તંત્ર સક્રિય બન્યું હતું. ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ ઘટનાના કારણોની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
