Site icon Time News

8 કરોડ વ્યુઝથી ભાજપ ગભરાઈ ગયું? AAPના એકાઉન્ટ સસ્પેન્ડ થવા પર સંજય સિંહે કર્યા આકરા પ્રહાર!

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો ગરમાયો છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) અને સત્તાધારી ભાજપ વચ્ચે નવો ડિજિટલ વિવાદ છેડાયો છે. રાઘવ ચઢ્ઢા સહિત AAP ના 7 રાજ્યસભા સાંસદોના પક્ષપલટાના એક દિવસ બાદ જ ગુજરાતમાં પાર્ટીના સત્તાવાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે AAP ના દિગ્ગજ નેતા સંજય સિંહે સીધો ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે કે માત્ર 28 દિવસમાં જ AAP ની પોસ્ટ 80 મિલિયન (8 કરોડ) લોકો સુધી પહોંચી જતા ભાજપ ગભરાઈ ગઈ છે અને તેમના ઈશારે જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરાવવામાં આવ્યા છે.

નવી દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત કરતા સંજય સિંહે આકરા પ્રહાર કરતા કહ્યું કે, “આમ આદમી પાર્ટી ગુજરાતમાં સતત પોતાનો વ્યાપ વધારી રહી છે અને જમીની સ્તરે સામાન્ય લોકોના પ્રશ્નો માટે લડી રહી છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પણ પાર્ટીને 14 ટકા જેટલા તોતિંગ વોટ મળ્યા હતા અને અમારા 5 ધારાસભ્યો જીત્યા હતા. લોકોનો આટલો બધો સપોર્ટ જોઈને ભાજપ હતાશ થઈ ગઈ છે.” સંજય સિંહના કહેવા મુજબ, AAP ની વધતી લોકપ્રિયતા ભાજપને પચતી નથી એટલે આવી હરકતો કરી રહી છે.

સિંહે ભાજપ પર AAP નેતાઓને હેરાન કરવાનો આરોપ લગાવતા વધુમાં કહ્યું કે, ભાજપે પોતાની હતાશા છુપાવવા અમારા ઘણા નેતાઓની ખોટી રીતે ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દીધા છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને યુવા નેતા પ્રવીણ રામ જેવા નેતાઓને પણ જેલમાં મોકલવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ભાજપ દ્વારા સતત અમારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે અને કડક કાર્યવાહીના નામે ડરાવવામાં આવી રહ્યા છે.

Exit mobile version