
‘જર, જમીન ને જોરુ એ ત્રણે કજિયાનાં છોરું’ આ કહેવતને સાબિત કરતો કિસ્સો પાલિતાણામાં બન્યો છે. જેમાં પાલિતાણાની સર્વોદય સોસાયટી નજીક મિલકત મુદ્દે ભાઈએ ભાઈની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અહીં TRB જવાન તરીકે ફરજ બજાવતા મયૂરસિંહ ગોહિલે પોતાના નાના ભાઈ ભગીરથસિંહની હત્યા કરી નાખી છે.
પાલીતાણા શહેરના સર્વોદય સોસાયટીના નાકા પાસે મંગળવારે એક શંકાસ્પદ ઘટનામાં 30 વર્ષીય ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસ તપાસમાં ખુલ્યું કે ભગીરથસિંહનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને આ હત્યામાં તેમના સગા ભાઈ મયુરસિંહ બટુકસિંહ ગોહિલનો હાથ હોવાનું સામે આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભગીરથસિંહનું મોત ગળું દબાવવાના કારણે થયું હોવાનું સ્પષ્ટ થયું. પોલીસ તપાસ દરમિયાન મયુરસિંહ, જે પાલીતાણામાં TRB જવાન તરીકે ફરજ બજાવે છે, તેની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન મયુરસિંહે ગુનો કબુલ્યો અને જણાવ્યું કે ભાઈ સાથેના ઝઘડાના કારણે તેણે આ કૃત્ય કર્યું હતું.
પાલીતાણા ડીવાયએસપી મિહિર બારિયાએ જણાવ્યું હતું કે, ભગીરથસિંહ અને મયૂરસિંહ વચ્ચે તેમના પિતાના મરણ બાદ મિલકતના વિવાદને લઈને મનદુખ હતું. 18મી માર્ચના રોજ મયુરસિંહ TRBની ફરજ પર જવા માટે નીકળતા પહેલા ભાઈને ઠપકો આપવા તેમના ઘરે ગયા હતા. ત્યાં બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો, જે દરમિયાન મયુરસિંહે ભગીરથસિંહના માથાના ભાગે ઈજા પહોંચાડી અને છાતી પર બેસી ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી.
આ પણ વાંચો, Ahmedabad: સિવિલ હોસ્પિટલને મળ્યું 10મું સ્કિન ડોનેશન, ઘરે જઇ મેળવવામાં આવેલ ચોથું સ્કીન ડોનેશન
