
સુરતથી આપઘાતની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલા નાયબ મામલતદારે પોતાના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈ મોત મીઠું કર્યું છે. હીનીષા પટેલ ઓલપાડ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના રાંદેર વિસ્તારમાં નાયબ મામલતદાર હીનીષા પટેલે પોતાના બેડરૂમમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આપઘાતની ઘટના તેમના પોતાના નિવાસસ્થાને બનતા ચકચાર મચી ગઈ છે. હીનીષા પટેલ ઓલપાડ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. મૃતકના પતિ પણ ઓલપાડ પ્રાંત કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ પર છે.
ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ તરત જ સ્થળ પર પહોંચી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસને હાલ સુધી કોઈ સ્યૂસાઈડ નોટ મળી આવી નથી. આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ અસ્પષ્ટ છે. જોકે, પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાએ વહીવટી વર્ગમાં શોકની લાગણી ફેલાઈ છે.
