
સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી મોટા ઉપાડે શરૂ કરાયેલા સી પ્લેનનું તો બાળમરણ થઇ ચુક્યુ છે. હવે કેન્દ્ર સરકારે વિકસીત દેશોની જેમ ભારતમાં પણ એર ટેક્સી ઉડાડવા વિચારણા શરૂ કરી છે. ઇલેકટ્રીક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડીંગ કરી શકે તેવું બેટરી આધારિત એરક્રાફ્ટની e-VTOL તરીકે ઓળખાય છે. ગુજરાત માટે આનંદના સમાચાર એ છેકે, આ એર ટેક્સી ઉડાવવા માટે ટ્રાયલ સાઇટ તરીકે અમદાવાદ અને માંડવી(કચ્છ)ની પસંદગી કરાઇ છે. કેન્દ્રીય એવિએશન વિભાગે દેશમાં ચાર ટ્રાયલ સાઇટની પસંદગી કરી છે જેમાં આંધ્રપ્રદેશના પણ બે સ્થળોનો સમાવેશ થાય છે. ભારતમાં એર ટેક્સી ઉડાડવા માટે ગુજરાતમાંથી પ્રથમ પ્રયોગ હાથ ધરાશે.
કેન્દ્રીય સિવિલ એવિએશનની નેમ છેકે, ઓછા ઘોંઘાટ કરે, પેટ્રોલનો ઓછું વપરાશ થાય અને પર્યાવરણને અનુકુળ હોય તેવા એરક્રાફ્ટ ઉડે. એડવાન્સ એર મોબિલીટીને પ્રોત્સાહન આપવાના ભાગરુપે હવે બેટરી આધારિત વર્ટીકલ ટેકઓફ અને લેન્ડીંગ કરી શકે તેવા નાનાકડાં એરક્રાફ્ટ જેને એર ટેક્સી પણ કહે છે. આ એરક્રાફ્ટની ‘e-VTOL’ નામ તેની અસલ ઓળખ છે. હેલિકોપ્ટરની જેમ આ નાનકડુ એરક્રાફ્ટ ઉડી અને ઉતરી શકે છે. તેને રન-વેની જરૂર હોતી નથી.
કેન્દ્રીય સિવિલ એવિએશન વિભાગે આ મુદ્દે રિપોર્ટ રજૂ કર્યો છે જેમાં એ વાતની પુષ્ટિ કરી છેકે, સેન્સર, લેટેસ્ટ સોફ્ટવેરથી સજ્જ એર ટેક્સી હેલિકોપ્ટર કરતાં વધુ સલામત છે. આ રિપોર્ટમાં ખાસ ઉલ્લેખ કરાયો છેકે, દેશમાં એર ટેક્સી ઉડાવવા માટે વિચારણા કરવામાં આવી છે તે માટે ડીરેક્ટોરેટ ઓફ સિવિલ એવિએશન ઉપરાંત નિષ્ણાતોની એક ટીમે ગુજરાતની મુલાકાત લીધી છે જેમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પરથી એર ટેક્સી ઉડાડવાનું નક્કી કર્યુ છે. આ ઉપરાંત કચ્છના માંડવીની પણ પસંદગી કરાઇ છે.
આ બંને સ્થળોની ટ્રાયલ સાઇટ તરીકે પસંદગી કરાઇ છે. માત્ર ગુજરાત જ નહી, આંધ્રપ્રદેશના બે શહેરોની પણ ટ્રાયલ સ્થળ તરીકે પસંદ કરાયાં છે. જો, ટ્રાયલમાં સફળતા મળશે તો, એકાદ બે વર્ષમાં ભારતમાં એર ટેક્સી શરૂ કરાશે તેવુ અનુમાન છે. અત્યારે તો ટ્રાયલ બેઝ પર એર ટેક્સી ઉડાવવાનો પ્રયોગ કરવાની દિશામાં કેન્દ્ર સિવિલ એવિએશન વિભાગે તૈયારીઓ શરૂ કરી છે. સી-પ્લેનના ઠેકાણાં નથી. એર ટેક્સી શરૂ થાય તો પણ ગુજરાતમાં કેટલો પ્રતિસાદ સાંપડે એ તો અત્યારથી કહી શકાય તેમ નથી.
