
ગુજરાતમાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR)ની પ્રથમ તબક્કાની પ્રક્રિયા પુરી થઈ ગયા પછી ચૂંટણી પંચ દ્વારા ડ્રાફટ મતદાર યાદી જાહેર કરવામાં આવી. અમદાવાદમાં SIR કામગીરીમાં 9.15 લાખ અનમેપ્ડ મતદારો મળી આવ્યા હતા. આ પછી હવે બીજા તબક્કાની કામગીરી શરૂ કરીને અમદાવાદના અનમેપ્ડ 9.15 લાખ મતદારોને નોટિસ પાઠવવામાં આવી છે. મતદારોને વાંધો રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો.
અનમેપ્ડ મતદારોને નોટિસ મોકલીને તેમના વાંધા અને પુરાવા રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. માહિતી પ્રમાણે, અમદાવાદના વટવા વિસ્તારમાં સૌથી વધુ 1.37 અનમેપ્ડ મતદારોને નોટિસ પાઠવવામાં આવી છે. જ્યારે ઘાટલોડિયામાં 1.22 લાખ અને વેજલપુરમાં 1.09 લાખ નોટિસ અપાઈ છે. દરરોજ સરેરાશ 62 હજાર લોકોની સુનાવણી કરવામાં આવશે. મતદારોને નોટિસમાં કયા પુરાવા સાથે હાજર રહેવાનું છે એ પણ જણાવવામાં આવ્યું છે. અનમેપ્ડ મતદારોએ સબંધિત અધિકારી પાસે હાજર થવાનું રહેશે. આ કામગીરી માટે 750થી વધુ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. 750 અધિકારીઓ અનમેપ્ડ મતદારોની વાંધાઓની અરજીઓ-અપીલોની સુનાવણી માટેની કામગીરીમાં જોડાશે.
અનમેપ્ડ મતદારોની સુનાવણીની કામગીરી માટે અમદાવાદ શહેરમાં ડેપ્યુટી કલેકટર અને મામલતદાર કક્ષાના કુલ 750 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ 9.15 લાખ લોકોના વાંધા અંગે સુનાવણી કરશે. માહિતી પ્રમાણે, એક અધિકારી એક દિવસમાં લગભગ 50થી વધારે દાવાઓ પર સુનાવણી કરશે, અને પછી એ નક્કી કરશે કે તેમનું નામ મતદાર યાદીમાં સમાવવું કે નહીં. અનમેપ્ડ મતદારોએ પોતાના દાવા અને આપત્તિ 18 જાન્યુઆરી 2026 સુધીમાં રજૂ કરવાની રહેશે. આ પછી ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધીમાં આ તમામ અરજી પર કાર્યવાહી કરવામાં આવશે.
