
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં નાગરિકોને વધુ સુવિધા મળે તે માટે સતત વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી રહી છે. શહેરનાં વાંચનપ્રેમીઓ, પરીક્ષા કેન્દ્રિત તૈયારી કરતાં વિદ્યાર્થીઓ તેમજ સિનિયર સિટિઝન્સ માટે હાલ શહેરનાં સાત ઝોનમાં કુલ 56 વાચનાલયો કાર્યરત છે.
અમદાવાદ શહેરમાં નાગરિકોની વાંચન સુવિધાને વધુ વિસ્તૃત બનાવવા માટે કુલ 33 નવી વાચનાલયો ઊભી કરવાની યોજના અમલમાં છે. નિકોલ, રાણીપ, વસ્ત્રાલ, રખીયાલ અને નરોડા વિસ્તારોમાં નવા વાચનાલયોઓનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં તેમનું લોકાર્પણ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, શહેરનાં તમામ વાચનાલયોની સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને અહીં વિવિધ મેગેઝિનો પણ ઉપલબ્ધ છે, જેમાં પરીક્ષા કેન્દ્રિત તેમજ સિનિયર સિટિઝન્સને અનુકૂળ હોય તેવા વિષયોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાચકો માટે વિવિધ અખબારોની સેવાઓ પણ ઉપલબ્ધ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મુખ્ય પ્રયાસ એ છે કે દરેક ઝોન, વોર્ડ અને વિસ્તાર સુધી ઓછામાં ઓછી એક વાચનાલયો તૈયાર કરવામાં આવે અને આ ઉદ્દેશ સિદ્ધ કરવા માટે કાઉન્સિલરશ્રીઓ અને ધારાસભ્યોશ્રીઓ પણ સક્રિય સહયોગ આપી રહ્યા છે. દરેક વાચનાલયોમાં CCTV અને Wi-Fi સુવિધા ઉપલબ્ધ કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાંથી 11 વાચનાલયોમાં CCTV સ્થાપિત કરી દેવામાં આવ્યા છે.
બોક્સ મેટર – છ મહિનામાં વાંચકોનો આંકડો લાખોમાં પહોંચ્યો
માત્ર છ મહિનાના સમયમાં શહેરની વાચનાલયોએ વાચકોની સંખ્યાનો મહત્વપૂર્ણ આંકડો હાંસલ કર્યો છે. એપ્રિલ 2025 થી સપ્ટેમ્બર 2025 દરમિયાન કુલ 4,05,589 વાચકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરની વાચનાલયોનો લાભ લીધો છે, જે વાંચન સંસ્કૃતિ પ્રત્યે શહેરના રહેવાસીઓની વધતી લાગણીને સ્પષ્ટ કરે છે.
