ટીમ ઈન્ડિયાની જીત બાદ અમિત શાહે પાકિસ્તાનને માર્યો ટોણો, CM યોગી આદિત્યનાથે પણ આપી પ્રતિક્રિયા

આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2026ના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પછાડીને શાનદાર જીત હાંસલ કરી છે. આ જીત બાદ સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભારતીય ટીમને અભિનંદન આપતા પાકિસ્તાન પર કટાક્ષ કર્યો હતો.
પરિણામ હંમેશા એક સરખું જ: અમિત શાહ
મેચ પૂરી થયા બાદ તરત જ અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતા લખ્યું, “શાનદાર રમત બતાવી #TeamIndia. ફોર્મેટ, સ્થળ અને તારીખો ભલે બદલાઈ જાય, પરંતુ #IndvsPak નું પરિણામ હંમેશા એક જેવું જ રહેશે. આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન.”
મહાશિવરાત્રી પર મહાવિજય: CM યોગી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાકિસ્તાન સામે ભારતની જીત બાદ ‘X’ પર પોસ્ટ કર્યું, “મહાશિવરાત્રી પર મહાવિજયની દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ! ભારતીય ક્રિકેટ ટીમના તમામ સભ્યોનું અભિનંદન! જય હિન્દ.”
ટી20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) માં રવિવાર, 15 ફેબ્રુઆરી 2026 ના રોજ શ્રીલંકાના કોલંબો સ્થિત આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલા હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 61 રનથી કચડી નાખ્યું છે. આ શાનદાર વિજય સાથે જ ભારતીય ટીમે સતત ત્રણ જીત મેળવી ગ્રુપ-A (Group-A) ના પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી સુપર-8 (Super-8) તબક્કા માટે ક્વોલિફાય કરી લીધું છે. પાકિસ્તાન સામે રનની દ્રષ્ટિએ મળેલી આ જીત ભારતની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 175 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં પાકિસ્તાની ટીમ 18 ઓવરમાં માત્ર 114 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
ટી20 વર્લ્ડ કપના ઇતિહાસ પર નજર કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી કુલ 9 મુકાબલા (Head-to-Head) થયા છે, જેમાંથી ભારત 8 મેચ જીતવામાં સફળ રહ્યું છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે મોટા મંચ પર ભારતીય ટીમનું વર્ચસ્વ (Dominance) અતૂટ છે. પાકિસ્તાન સામેનો આ વિજય ભારતીય ચાહકો માટે ગર્વની ક્ષણ છે. ટીમ ઈન્ડિયાની આ સંતુલિત રમત, જેમાં બેટિંગ અને બોલિંગ (Bowling Attack) બંને પાસાઓએ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે, તેને આ ટુર્નામેન્ટમાં વિશ્વવિજેતા બનવાની પ્રબળ દાવેદાર બનાવી રહી છે.