
દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની પાંચમી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી તે જેલમાં બંધ છે. ફરી એક વખત ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે. 28 ઓગસ્ટે હાઇકોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવાની હતી પરંતુ સુનાવણી થઇ શકી નહતી.
મળતી માહિતી અનુસાર, ગુજરાત હાઇકોર્ટમાં વકીલોની હડતાળ યથાવત રહેતા વકીલો કામથી અળગા રહ્યાં છે જેના કારણે ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી થઇ શકી નહતી.
શું છે સમગ્ર મામલો?
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે પાંચમી જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.
