
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં સુરતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના વોર્ડ નંબર 4 માં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે. ભાજપના ઉમેદવારો હેતલ પરમાર, હંસા ગજેરા, અરવિંદ કાકડીયા અને મહેશ કાકડીયાએ જીત હાંસલ કરી છે. આ જીતની સાથે જ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે, કારણ કે ‘આપ’ ના પ્રદેશ મહામંત્રી અને દિગ્ગજ નેતા મનોજ સોરઠીયાની આ વોર્ડમાં હાર થઈ છે. નોંધનિય છે કે, મનોજ સોરઠીયા આમ આદમી પાર્ટીના મોટા ચહેરામાના એક છે.
મનોજ સોરઠીયા આમ આદમી પાર્ટી (AAP) ના ગુજરાતના એક અગ્રણી નેતા અને પ્રદેશ સંગઠનના પાયાના મજબૂત સ્તંભ ગણાય છે. તેઓ આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ મહામંત્રી (State General Secretary) તરીકે જવાબદારી સંભાળે છે. મનોજ સોરઠીયા સુરતના વતની છે અને સુરતમાં ‘આપ’ ને મજબૂત બનાવવામાં તેમનો મોટો ફાળો રહ્યો છે. 2021ની સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ‘આપ’ ને મળેલી સફળતા પાછળ તેમની સંગઠનશક્તિ મહત્ત્વની હતી.
