બનાસકાંઠા અને વાવ-થરાદ બે જિલ્લા આજથી અસ્તિત્ત્વમાં, સરકારે નોટીફિકેશન જાહેર કર્યું

રાજ્ય સરકાર દ્વારા સરહદી બનાસકાંઠા જિલ્લાને દિવાળીની ભેટ આપવામાં આવી છે. ચાર તાલુકાની સાથે વાવ-થરાદ જિલ્લાની રચનાને મંજૂરી આપવામાં આવી છે. આજથી બનાસકાંઠા જિલ્લામાંથી વાવ-થરાદ જિલ્લો અસ્તિત્ત્વમાં આવ્યો છે.રાજ્ય સરકારે નોટીફિકેશન જાહેર કર્યુ છે.બનાસકાંઠા જિલ્લામાં 10 તાલુકા રાખવામાં આવ્યા છે જ્યારે વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પાલનપુરથી 150 કિલોમીટર દૂર વાવ થરાદ અને સુઇગામ તાલુકાના લોકોને સરકારી કામ અર્થે પાલનપુર આવવું પડતું હોવાના કારણે લોકોમાં પૈસા અને સમયનો વ્યય થતો હતો. જોકે, વાવ થરાદ જિલ્લાનું વડુ મથક થરાદ રાખવામાં આવતા અહીંના લોકોને સરકારી કામો કરાવવામાં સરળતા રહેવાને લઇ ખુશાલી-વ્યાપી છે.
ઓગડ-ધરણીધરને જિલ્લો બનાવવાની માંગ સામે તાલુકાનો દરજ્જો અપાયો
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરાય તો કાંકરેજ દિયોદરને આવરી લઇ ઓગડ તેમજ વાવ,થરાદ,સુઇગામ,ભાભરને આવરી લઇ ધરણીધર જિલ્લો બનાવવા અગાઉ માંગ કરાઇ હતી પરંતુ સરકાર દ્વારા વાવ થરાદ જિલ્લો જાહેર કરાયો હતો જેને લઇને સરકારે ઓગડ,ધરણીધરને તાલુકાનો દરજ્જો આપી લોકોની આસ્થાને જાળવી રાખી છે.
બનાસકાંઠામાં ચાર નવા તાલુકા બનાવાયા
રાજ્યમાં ગુજરાત સરકારે 17 નવા તાલુકા જાહેર કર્યા છે જેમાંથી બનાસકાંઠામાં સૌથી વધુ 4 નવા તાલુકા બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો, દેશને GST પર મળશે વધુ એક સારા સમાચાર, મોદી સરકારે આપ્યા મોટા સંકેત