ગુજરાતમાં વોટ ચોરી થયાનો કોંગ્રેસનો આરોપ, 62 લાખથી વધુ નકલી મતદાતા હોવાની આશંકા

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતમાં 5 રીતે વોટ ચોરી થતી હોવાના પુરાવા આપ્યા હતા. તેમણે કહ્યું કે લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર સામે અને ચૂંટણી પંચ સામે વોટ ચોરીના આરોપ સાથે બિહારમાં મતાધિકાર યાત્રા કાઢી છે. આ અંતર્ગત ગુજરાતમાં પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના મતવિસ્તારમાંથી એક વિધાનસભાની બેઠકના આંકડાનું વિશ્લેષણ કર્યું.
ગુજરાત કોંગ્રેસ દ્વારા કરાયેલા આરોપ મુજબ 5 રીતે અલગ અલગ મતદાતાઓને મતદાર યાદીમાં દર્શાવીને ગુજરાતમાં વોટ ચોરી કરવામાં આવે છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષની લોકસભા બેઠકની ચોર્યાસી વિધાનસભા બેઠકનું વિશ્લેષણ કરતાં 12 ટકા શંકાસ્પદ મતદાતાઓ જોવા મળ્યા. ચોર્યાસી વિધાનસભાના આંકડા જોતા હાલની સ્થિતિએ ગુજરાતમાં 62 લાખ જેટલા મતદારોની યાદી ફર્જી સામે આવી શકે છે
દેશના બંધારણે આપેલો મતદાનનો અધિકાર છે. ખેડૂત હોય કે સામાન્ય વ્યક્તિ તેને વોટ આપવાનો અધિકાર છે. રાહુલ ગાંધીએ વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો છે. સાચા મતદારો કરતા ખોટા મતદારોનું પ્રમાણ વધી ગયું હોય તેવું લાગે છે. બંધારણના પાયાને ખોખલું કરવા માટે ગુજરાતમાં આવું ષડયંત્ર થઈ રહ્યું છે. ગુજરાતમાં એક વ્યક્તિના અનેક વોટ જોવા મળી રહ્યા છે
એક વ્યક્તિના નામે બે વોટ
સ્પેલિંગમાં ભૂલ કરીને નવો મતદાતા બને છે
એપિક નંબર બદલીને નવા મતદાર બને છે
અલગ અલગ ભાષામાં ફોર્મ ભરીને મતદાર બનાવામાં આવે છે
સરનામું અલગ અલગ જગ્યાઓનું બતાવીને વોટ ચોરી કરવામાં આવે છે
મતદાર યાદીની ચકાસણી શરૂઆત કરવામાં આવી
એક લોકસભામાં અને તેની એક વિધાનસભા પસંદ કરીને તેની શરૂઆત કરવામાં આવી. એક વ્યક્તિ અનેક વોટ નાખે છે તેના લીધે પરિણામ બદલાઈ જાય છે. આ વોટ ચોરી લોકશાહી ખત્મ કરવાનું ષડયંત્ર છે. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની લોકસભાની ચકાસણી કરવામાં આવી હતી. નવસારી લોકસભા બેઠક અને ચોર્યાશી વિધાનસભાની ચકાસણી કરવામાં આવી
ચોર્યાસી વિધાનસભામાં 40% મતદાન ચકાસણી કરવામાં આવી
ચોર્યાસી વિધાનસભામાં 40% મતદાન ચકાસણી કરવામાં આવી. તેમાં 40 હજાર મતદારો ભૂતિયા , ડુપ્લીકેટ અને શંકાસ્પદ જોવા મળ્યા. ભાજપના કેન્દ્રીય મંત્રીના વિસ્તારમાંથી આ ચોરી પકડવામાં આવી છે. ચોર્યાસી વિધાનસભામાં કુલ 609592 મતદારો છે. જેમાંથી કોંગ્રેસ દ્વારા 2,40,000થી વધુની ચકાસણી કરવામાં આવી હતી. આ ફોર્મમાંથી 30 હજારથી વધુ નામ
ફરઝી જોવા મળ્યા છે. જો ચોર્યાસી વિધાનસભા સમગ્રની યાદીની પૂરી ચકાસણી કરવામાં આવે તો 75 હજારથી વધુ નકલી મતદાતા જોવા મળશે.
કોંગ્રેસ વોટર અધિકારી જનસભા યોજશે
કોંગ્રેસે આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. રવિવારે કલેક્ટર ઓફિસ સામે ‘વોટર અધિકારી જનસભા” યોજવામાં આવશે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેશે અને ‘વોટ ચોરને ખુલ્લા પાડવામાં આવશે’. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે આ લડાઈ કોઈ પક્ષ કે ચૂંટણીની હાર-જીતની નથી, પરંતુ દેશની લોકશાહી અને બંધારણીય અધિકારોને બચાવવા માટેની છે. કોંગ્રેસે ચૂંટણી પંચને આ મુદ્દે ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું છે અને એફિડેવિટની માંગને મુદ્દો ડાયવર્ટ કરવાના પ્રયાસ ગણાવ્યા છે. આગામી સમયમાં તેઓ ઘરે-ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરશે.