અમદાવાદમાં ડિમોલિશન દરમિયાન આત્મવિલોપન કરનાર મહિલાનું મોત

અમદાવાદના જશોદાનગરમાં ડિમોલિશન દરમિયાન થયેલા આત્મવિલોપનના મામલામાં નર્મદા બહેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. 37 વર્ષીય નર્મદા કુમાવતે, જેમની ગ્રોસરીની દુકાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર ગણી તોડી પાડવામાં આવી હતી, તેમણે વિરોધમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. તેમના શરીરના 80 ટકાથી વધુ ભાગ દાઝી ગયા હોવાથી તેમને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઇજાઓને કારણે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.
નોંધનીય છે કે અમદાવાદના જશોદાનગરમાં ગેરકાયદે દબાણ હટાવવા મુદ્દે AMCની ટીમ દ્વારા હાથ ધરાયેલી ડિમોલિશનની કામગીરી દરમિયાન તણાવની સ્થિતિ સર્જાઈ હતી. રોષે ભરાયેલી મહિલાઓએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી 1 મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સ્થાનિકોએ AMCની ટીમ પર હુમલો કરી ગાડી પર પથ્થરમારો કર્યો. સ્થાનિકોનો આરોપ છે કે એસ્ટેટ વિભાગે અગાઉ દુકાનદારો પાસેથી પૈસા વસૂલ્યા હોવા છતાં ડિમોલિશનની કાર્યવાહી માટે પહોંચ્યા હતા.