CORONA: દેશમાં ફરી આવ્યું માસ્ક રાજ, કોરોના વધતાં આ રાજ્યમાં સરકારે બહાર પાડી એડવાઇઝરી

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ પછી એક નવો વેરિઅન્ટ JN-1 બહાર આવ્યો છે, જે ફરીથી સમગ્ર દેશમાં તબાહી મચાવી રહ્યો છે. કેરળથી મહારાષ્ટ્ર, દિલ્હી સુધીના મોટાભાગના રાજ્યોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. સરકારે લોકોને માસ્ક પહેરવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર દેશભરમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 7131 છે. જોકે, 10,976 લોકો સ્વસ્થ પણ થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં 78 લોકોના કોરોનાથી મોત થયા છે. શનિવારે કેરળ અને પશ્ચિમ બંગાળમાં કોરોનાને કારણે 2 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
કેરળ રાજ્યમાં કોરોનાએ પોતાનો પગ પેસારો કરી લીધો છે. કેરળમાં કોરોનાના સક્રિય કેસ જ નહીં, પરંતુ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સક્રિય કોરોના કેસની કુલ સંખ્યા 2055 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, સાજા થયેલા લોકોની સંખ્યા 3736 છે. કેરળમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. કેરળ રાજ્યમાં દરરોજ 100 થી વધુ કોરોનાના સક્રિય કેસ નોંધાઈ રહ્યા છે.
ગુજરાતની વાત કરીએ તો કેરળ પછી તે બીજા ક્રમે છે જ્યાં કોરોનાના સૌથી વધુ સક્રિય કેસ છે. આ રાજ્યમાં કોરોનાના 1358 સક્રિય કેસ છે. તે જ સમયે, સાજા થયેલા લોકોની સંખ્યા 1015 છે. અહીં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 2 લોકોના મોત થયા છે. ગુજરાતમાં એક દિવસમાં 70 થી વધુ સક્રિય કેસ નોંધાઈ રહ્યા છે.
પંજાબમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 29 સક્રિય કેસ નોંધાયા છે. દેશભરમાં કોરોનાના વધતા કેસોને જોતા પંજાબ સરકારે એક એડવાઇઝરી જાહેર કરી છે. સરકારે લોકોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે, ભીડવાળા વિસ્તારોમાં જતા પહેલા માસ્ક પહેરવું ફરજિયાત છે. આ ઉપરાંત તેમણે આરોગ્ય કર્મચારીઓને માસ્ક પહેરવાની પણ સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, જો કોઈ વ્યક્તિને ખાંસી કે તાવની ફરિયાદ હોય તો તેણે બીજાના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ અને ખાંસી વખતે મોં પર રૂમાલ રાખવો જોઈએ.
આ પણ વાંચો, Chardham Yatra: ચારધામ યાત્રાના યાત્રિકોની સંખ્યાએ તોડ્યા અગાઉના રેકોર્ડસ, આંકડો 28 લાખને પાર થયો