Ahmedabad: હાઈકોર્ટે તથ્ય પટેલના 87 કલાકના જામીન મંજૂર કર્યા, માતાનું ઓપરેશન નહીં થાય તો તાત્કાલિક સરેન્ડર કરવું પડશે

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેલમાં રહેલા આરોપી તથ્ય પટેલના ગુજરાત હાઈકોર્ટે ચાર દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. પોતાની માતાની બીમારીની સારવાર માટે તથ્ય પટેલે ફરી જામીન અરજી કરી હતી. જે હાઈકોર્ટે મંજૂર કરી 26 મેના રોજ સવારે 6 વાગ્યે છોડીને 29 મેના રોજ રાત્રે 09 વાગ્યે સરેન્ડર થવા હુકમ કર્યો છે. જામીન દરમિયાન તથ્ય પટેલની સાથે ત્રણ પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રહેશે. જો 26મેએ તથ્યની માતાનું ઓપરેશન ન થાય તો તાત્કાલિક સરેન્ડર થવા પણ હુકમ કરાયો છે.
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોને કચડનાર તથ્ય પટેલના ફરી 4 દિવસના હંગામી જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા છે. તથ્ય પટેલને અગાઉ સાત દિવસના હંગામી જામીન આપ્યા હતા. હંગામી જામીન અરજીમાં તથ્ય પટેલે જણાવ્યું હતું કે, તેની માતાને કરોડોરજ્જુની સર્જરી કરાવવાની હોવાથી તેની ઉપસ્થિતિ જરૂરી છે. જો કે તથ્ય પટેલની માતાને હાઈ બ્લડ પ્રેશર અને તાવ હોવાથી સર્જરી થઈ શકી નહોતી.
તથ્ય પટેલ દ્વારા પોતાના હંગામી જામીન બે અઠવાડિયા માટે વધારવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તથ્ય તરફથી તેના વકીલે આગામી 26 મેના રોજ તથ્યની માતાનું ઓપરેશન કરવાનું હોવાનું ડૉક્ટરનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જેના સરકારી વેરિફિકેશન બાદ હાઇકોર્ટે તથ્ય પટેલને 26 મેના રોજ સવારે 6 વાગ્યે છોડીને 29 મે ના રોજ રાત્રે 09 વાગ્યે સરેન્ડર થવા હુકમ કર્યો છે. આ દરમિયાન તેની સાથે પોલીસ જાપ્તામાં એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ રહેશે. જેનો ખર્ચ તથ્ય પટેલ ભોગવશે.
વળી જો તથ્યની માતાનું 26 મેના રોજ ઓપરેશન ન થાય અથવા તો પોસ્પોન થાય તો તુરંત જ તેને જેલ ઓથોરિટી સમક્ષ સરેન્ડર કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, તથ્યની હંગામી જામીન અરજીનો વિરોધ કરતા સરકારી વકીલે જણાવ્યું હતું કે, તથ્યના માતા-પિતાએ જ ઓપરેશન માટે 26 મેની તારીખ ડોક્ટર સમક્ષ માગી હતી. તેની માતાના ઓપરેશનમાં સાર સંભાળ રાખવામાં તથ્યની જરૂર નથી. અગાઉ તેને માતાના ઓપરેશન માટે હંગામી જામીન મળ્યા પરંતુ ઓપરેશન ન થતાં તેને સરેન્ડર કર્યું ન હતું.