જલારામ બાપા વિશે ટિપ્પણી બાદ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વિરપુર આવી માફી માંગી

જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામબાપા વિશે ટિપ્પણી બાદ રઘુવંશી સમાજ, જલારામ બાપાના ભક્તો અને ગ્રામજનોમાં આક્રોશ હતો. સ્વામીએ વિડિઓ બનાવી માફી માગ્યા બાદ પણ આક્રોશ યથાવત રહેતા હવે સ્વામી જ્ઞાનપ્રકાશદાસજીએ જલારામબાપાના મંદિરે આવી માફી માંગી છે. અનેક લોકોની માગ હતી કે સ્વામી વિરપુર આવી માફી માંગે.
જ્ઞાનપ્રકાશ સ્વામીને પોલીસના ચુસ્તબંદોબસ્ત સાથે વીરપુર લવાયા હતા. બ્લેક કલરની સ્કૉપીયો ગાડીમાં સ્વામીને વીરપુર લવાયા અને મંદિરની પાછળની જગ્યામાંથી સીધા મંદિરમાં લઈ જવાયા હતા. વડતાલ ટેમ્પલ મંદિર બોર્ડ દ્વારા લેટરપેડમાં લેખિત પૂજ્ય જલારામ બાપાના મંદિરની માફી માંગવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્ઞાનપ્રકાશ સ્વામી સુરતના અમરોલીમાં સત્સંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે, ‘જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતિત સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યા હતા. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતિત સ્વામી પાસે આશિર્વાદ માંગ્યા હતા કે, સ્વામી મારું એક માત્ર લક્ષ્ય છે કે, અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેમને પ્રસાદ મળે. જલા ભગતે ગુણાતિત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા. બાદમાં સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યા કે, તમારો ભંડાર કાયમ ભર્યો રહેશે.’
જ્ઞાનપ્રકાશ સ્વામીના આ નિવેદનને લઈને જલારામ બાપાના ભક્તોમાં રોષ ભભુક્યો છે. આ વીડિયો વાઈરલ થતાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામી સામે રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો. જો કે, વિવાદ વકરતાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ અન્ય એક વીડિયો શેર કરી માફી માંગી છે.
આ પણ વાંચો, http://ભીડથી બચવા રેલવે પ્રશાસનનો મોટો નિર્ણય, પ્લેટફોર્મ પર જતા પહેલા જાણી લેજો, નહીંતર…!