અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માગણી

દિલ્હીમાં જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના લાઠીચાર્જ અને નીટ પેપર લીક મુદ્દે કોંગ્રેસે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસ દ્વારા ‘છાત્રો કી ગુંજ’ રેલી અને ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. નીટ પેપર વિવાદને લઈને કોંગ્રેસ રસ્તા પર ઉતરી છે. અમદાવાદના નેહરૂબ્રિજથી આ રેલીની શરૂઆત થઈ છે. રેલીમાં ભાજપ હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા હતા.
ગુજરાત કોંગ્રેસ દ્વારા છાત્રો કી ગુંજ રેલીમાં અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. નીટ પેપર લીક અને શિક્ષણમાં વ્યાપારીકરણના આરોપ સાથે કોંગ્રેસ દ્વારા રેલી અને ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં કોંગ્રેસ દ્વારા અમિત શાહના રાજીનામાની માગ પણ કરવામાં આવી હતી.

કોંગ્રેસ દ્વારા વિવિધ નારાઓ સાથે આ રેલી કાઢવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સરદાર બાગ બેસી સાંજ સુધી ધરણા કરવાના છે. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોંગ્રેસની રેલીમાં વિવિધ બેનરો જોવા મળ્યા હતા. જેમાં ‘ટીયર ગેસ નહીં ચલેગી, AK-47 નહીં ચલેગી’ જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા.
અમદાવાદ ખાનપુરમાં આવેલા ભાજપ કાર્યાલયથી આશરે 100 મીટરના અંતરે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. કોંગ્રેસ નેતાઓ દ્વારા અમિત શાહના રાજીનામાની પણ માગ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ અને યુવાનો પર ખોટી FIR બંધ કરોના પોસ્ટર સાથે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓએ ભાજપ હાય-હાયના નારા પણ લગાવ્યા હતા.