અમદાવાદને ઉગારવા મોટો નિર્ણય; 2 બોટ અને લાઇફ જેકેટ સાથે આર્મીની 6 ટીમોના 50થી વધુ જવાનો મેદાને!

રાજ્યમાં વરસાદને લઈને એક અત્યંત મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે (૨૪ જુલાઈ) વહેલી સવારે ૫ વાગ્યાથી અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત પડી રહેલા મુસળધાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો જળમગ્ન થઈ ગયા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે ભારતીય સેના (આર્મી) અને NDRFની ટીમોને મેદાને ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શહેરમાં પાણીના નિકાલ અને ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવા માટે આર્મીની મદદ લેવાઈ રહી છે. અમદાવાદમાં કુલ 6 આર્મીની ટીમો ઉતારવામાં આવી છે, જેમાંથી 3 કોલમ અમદાવાદ શહેર માટે અને 3 કોલમ અમદાવાદ જિલ્લાના વિસ્તારો માટે કામ કરશે. ઓરિસ્સાથી લાવવામાં આવેલી 2 NDRFની ટીમોને પણ અમદાવાદમાં ડિપ્લોય કરવામાં આવી છે. 2 બોટ અને લાઈફ જેકેટ સાથે પચાસથી વધુ આર્મીના જવાનો લોકોને રેસ્ક્યુ કરવા માટે નીકળી ચૂક્યા છે.
એસ.જી. હાઈવે સ્થિત કર્ણાવતી ક્લબની પાછળના ભાગમાં આવેલી અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે. આખો વિસ્તાર જળમગ્ન થઈ જતાં સ્થાનિકો ઘરોમાં ફસાયા છે. લોકોને બહાર કાઢવા માટે 5 જેટલી ટ્રક ભરીને આર્મીના જવાનોને ઉતારવામાં આવ્યા છે. સેનાના જવાનો બોટ મારફતે લોકોને સુરક્ષિત બહાર લાવવાના ભગીરથ પ્રયાસો કરી રહ્યા છે.વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે શહેરના મોટાભાગના વિસ્તારોને જળબંબાકાર કરી દીધા છે. જેમાં એસ.જી. હાઇવે, ગોતા, જગતપુર, એસ.પી. રિંગ રોડ, ન્યૂ રાણીપ, ચાંદખેડા અને ત્રાગડનો સમાવેશ થાય છે. ત્રાગડ રોડ, IOC રોડ, ડી-કેબીન રોડ અને ચેનપુર રોડ પર ભારે પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.
વાહનચાલકો માટે ટ્રાફિક અને અંડરપાસ અંગે મહત્વની માહિતી
ભારે વરસાદને કારણે શહેરના અનેક અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે, જ્યારે અમુક ચાલુ છે.
સંપૂર્ણ બંધ કરવામાં આવેલા અંડરબ્રિજ
- મકરબા અંડરપાસ
- પરિમલ અંડરપાસ
- અખબાર નગર અંડરપાસ
- મણીનગર દક્ષિણી અંડરપાસ
- કાળીગામ અંડરપાસ
- ચાંદલોડિયા અંડરપાસ
- રાણીપ GST અંડરપાસ
- ચાંદખેડા અંડરપાસ
કાર્યરત અંડરપાસ (બી ડિવિઝન ટ્રાફિક પોલીસ ક્ષેત્ર)
- ઇન્કમટેક્સ અંડરપાસ
- ઉસ્માનપુરા અંડરપાસ
- નિર્ણયનગર અંડરપાસ
- પ્રગતિનગર અંડરપાસ
- મીઠાખળી અંડરપાસ હાલમાં માત્ર સિંગલ લેનથી ચાલુ રાખવામાં આવ્યો છે.
તંત્રની નાગરિકોને સલાહ
વધારે વરસાદ કે અંડરપાસ બંધ હોવાની સ્થિતિમાં વાહનચાલકોને નવરંગપુરા રેલવે ક્રોસિંગ, નારણપુરા રેલવે ક્રોસિંગ અથવા વિજય રેલવે ક્રોસિંગનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા માટે અપીલ કરવામાં આવી છે.