રાહુલ ગાંધીને ધરણા પરથી પોલીસ ઉપાડીને લઈ ગઈ:PM આવાસ બહાર પ્રદર્શન બાદ એક્શન, 3 કલાક પછી છોડ્યા

PM આવાસ નજીક મંગળવારે બપોરે 3:30 વાગ્યે ધરણા પર બેઠેલા કોંગ્રેસીઓને પોલીસ સાંજે 6:30 વાગ્યે ઉપાડીને લઈ ગઈ.
3 કલાકના ધરણા દરમિયાન સરકારે રાહુલ સાથે 2 વાર વાતચીત કરી, પરંતુ તેઓ માન્યા નહીં. આ પછી 100થી વધુ પોલીસકર્મીઓ પહોંચ્યા તો કોંગ્રેસીઓએ ઘેરાવ કરી લીધો અને રાહુલ સુધી પહોંચવા ન દીધા.
પોલીસકર્મીઓ રાહુલ ગાંધીને લઈ જવા પહોંચ્યા તો તેઓ જમીન પર સૂઈ ગયા. કોંગ્રેસીઓ અને પોલીસ વચ્ચે અડધા કલાક સુધી ધક્કામુક્કી થતી રહી. પોલીસે લાઠીચાર્જ કર્યો.
ઘણું મનાવવા છતાં પણ જ્યારે તેઓ ન ઊઠ્યા તો 12થી વધુ પોલીસકર્મીઓ તેમના હાથ-પગ પકડીને ઉપાડીને લઈ ગયા અને બસમાં બેસાડ્યા.
રાહુલ ઉપરાંત પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓની અટકાયત કરી.
તમામ નેતાઓને છત્રસાલ સ્ટેડિયમમાં રાખ્યા. અહીંથી અંદાજે 3 કલાક પછી રાત્રે 9:45 વાગ્યે બધાને મુક્ત કર્યા. પ્રિયંકાને મંદિર માર્ગ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. પ્રિયંકાને મળવા સોનિયા ગાંધી પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં.
પીએમ આવાસ પાસેથી હટાવવા માટે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને ગૃહ સચિવ ગોવિંદ મોહન પહોંચ્યા હતા. રાહુલ ગાંધી સાથે લગભગ 20 મિનિટ વાત કરી. આ પછી જિતેન્દ્ર સિંહ ગૃહ મંત્રી અમિત શાહ પાસે ગયા. અમિત શાહ સાથે વાતચીત કર્યા પછી તેમણે ફરીથી રાહુલ સાથે વાત કરી.
સોશિયલ મીડિયા પોસ્ટમાં જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે રાહુલ ગાંધીની માગ હતી કે NEET પર સંસદમાં ચર્ચા થાય. રાહુલની આ માગ માની લેવામાં આવી હતી. પરંતુ રાહુલ પોતાની વાતથી ફરી ગયા. તેઓ બોલ્યા- હવે અમારી બે માંગો છે. પહેલી- NEET પર સંસદમાં ચર્ચા, બીજી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું.