ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ શરૂ! અંબાજી ખાતે ગબ્બર રોપ-વે સેવા 4 દિવસ રહેશે બંધ, જાણો દર્શનાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આવતા મા અંબાના ભક્તો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અંબાજી ખાતે આવેલા પવિત્ર ગબ્બર પર્વત પર જતી ‘ઉડન ખટોલા’ (રોપ-વે) સેવા આગામી 4 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
યાત્રિકોની સલામતી અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને ગબ્બર રોપ-વેના વાર્ષિક તથા ટેકનિકલ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. તારીખ 21 જુલાઈ 2026 થી 24 જુલાઈ 2026 સુધી રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ 25 જુલાઈ 2026 થી રોપ-વે સેવા રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.
આગામી સમયમાં પવિત્ર ભાદરવી પૂનમનો મહામેળો આવી રહ્યો છે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે અને ગબ્બર ગોખના દર્શને આવતા હોય છે. ભાદરવી પૂનમ દરમિયાન યાત્રિકોનો ભારે ઘસારો રહેતો હોવાથી, તે પહેલાં જ રોપ-વેનું મેન્ટેનન્સ પૂર્ણ કરી લેવાય તે હેતુથી આ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી મેળાવડા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે.