દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું – ‘હું મારા ઉપવાસ…’

દિલ્હીના જંતર-મંતર પર હાલમાં ચાલી રહેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના ઉગ્ર વિરોધ પ્રદર્શન અને સંસદ કૂચ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જાણીતા પર્યાવરણવાદી સોનમ વાંગચુકે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પોતાની ભૂખ હડતાળ ચાલુ જ રાખશે. શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા યુવાનો પર થયેલી પોલીસ કાર્યવાહીથી નારાજ વાંગચુકે સરકાર પાસે શિક્ષણ મંત્રીને જવાબદાર ઠેરવવાની માંગ કરી છે. આ તરફ સંસદ તરફ કૂચ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું છે, જેમાં પોલીસે બળપ્રયોગ કરતા લાઠીચાર્જ પણ કર્યો હોવાના અહેવાલ છે.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને પોતાની મક્કમતા દર્શાવી છે. પોતાનો પક્ષ રજૂ કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, “હું મારા ઉપવાસ ચાલુ જ રાખીશ.” તેમણે જણાવ્યું કે શાંતિથી પોતાનો વિરોધ નોંધાવી રહેલા યુવાનો પર જે રીતે ક્રૂરતા આચરવામાં આવી રહી છે, તેને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી યુવા નેતાઓને સંસદમાં જઈને સાંસદો સાથે મુલાકાત કરવાની મંજૂરી નહીં મળે, ત્યાં સુધી તેઓ આ ભૂખ હડતાળ સમેટવાના નથી.
વાંગચુકે પોતાના એક પત્રમાં જણાવ્યું હતું કે પ્રદર્શન કરી રહેલા યુવા નેતાઓને હોસ્પિટલમાં તેમની સાથે મુલાકાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમણે સરકાર પાસે આશા વ્યક્ત કરી છે કે સરકાર જલ્દીથી શિક્ષણ મંત્રીને આ મામલે જવાબદાર ઠેરવે અને યોગ્ય પગલાં લે. પોલીસ અને તંત્ર દ્વારા ઉશ્કેરણી કરવા છતાં યુવાનોએ જે રીતે શાંતિ જાળવી રાખી, તેનાથી વાંગચુક ખૂબ જ પ્રભાવિત થયા છે.
તેમણે સરકાર અને પોલીસ પ્રશાસનને અપીલ કરી છે કે વિદ્યાર્થીઓને આજે કે આવતીકાલે સંસદમાં પોતાની ફરિયાદો રજૂ કરવાની તક આપીને આ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવે. સાથે જ તેમણે યુવા પ્રદર્શનકારીઓ પાસે પણ આશા રાખી છે કે તેઓ આવતીકાલે પણ આજની જેમ જ અતૂટ ધીરજ અને સહિષ્ણુતા જાળવી રાખશે.