15 જુલાઈથી ગુજરાતમાં ફરી વરસાદી માહોલ, જ્યારે મહિનાના અંતિમ સપ્તાહમાં અતિભારે વરસાદની શક્યતા

જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી, જેના કારણે અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો હતો. જોકે છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. હાલ ગુજરાતમાં તેજ ગતિથી ફૂંકાતા પવનોના કારણે વરસાદી વાદળો વિખેરાઈ રહ્યા છે, જેના કારણે વરસાદનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો હોવાનું જોવા મળી રહ્યું છે. તેમ છતાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની ખેંચ યથાવત છે અને અનેક ખેડૂતો આગામી વરસાદની રાહ જોઈ રહ્યા છે.

હવામાનના જણાવ્યા અનુસાર થોડા દિવસ પહેલાં જ્યારે વરસાદનો સારો રાઉન્ડ ચાલી રહ્યો હતો ત્યારે પવનની ગતિ અંદાજે 14થી 18 કિલોમીટર પ્રતિ કલાક હતી. પરંતુ હાલમાં પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 25થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની ગતિ 35થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી છે. આ જ કારણથી વરસાદી વાદળો લાંબા સમય સુધી ટકી શકતા નથી અને ઝડપથી વિખેરાઈ જાય છે.

હવામાનના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ બાદ એટલે કે 15 જુલાઈથી પવનની ગતિ ફરી ઘટીને અંદાજે 18થી 19 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ પહોંચી શકે છે. પવનનું જોર ઘટતાં ફરીથી વરસાદ માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે. આ સમયગાળા દરમિયાન અરબ સાગર ફરી સક્રિય બનવાની શક્યતા છે, જેના કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ વધુ મજબૂત બનશે. તેના પરિણામે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે. આ વરસાદનો પ્રથમ રાઉન્ડ 15 જુલાઈથી શરૂ થઈને અંદાજે 20 જુલાઈ સુધી ચાલુ રહી શકે છે.

હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ જુલાઈ મહિનામાં વરસાદના કુલ બે મહત્વના રાઉન્ડ જોવા મળી શકે છે. પ્રથમ રાઉન્ડ બાદ 21થી 25 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં સર્જાનારા ટ્રફના કારણે ફરીથી વરસાદી માહોલ જામશે. ત્યારબાદ 25થી 31 જુલાઈ દરમિયાન મહિનાના અંતિમ સપ્તાહમાં વરસાદનો બીજો અને વધુ અસરકારક રાઉન્ડ આવી શકે છે. આ સમય દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારોમાં અત્યાર સુધી વરસાદ ઓછો નોંધાયો છે અથવા વરસાદની ખેંચ જોવા મળી રહી છે, ત્યાં આ અંતિમ રાઉન્ડમાં સારો વરસાદ થવાની સંભાવના છે. જેના કારણે ખેતી માટે પણ અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે. હાલમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ આગાહી આશાજનક માનવામાં આવી રહી છે. જો આ આગાહી મુજબ વરસાદ થાય તો વાવેતર અને ઉભા પાક બંનેને મોટો લાભ મળી શકે છે.ખેડૂતોને ચિંતા ન કરવાની અપીલ પણ કરી છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યના જે વિસ્તારોમાં હજુ સુધી પૂરતો વરસાદ થયો નથી અથવા જ્યાં વાવણી બાકી છે, ત્યાં જુલાઈના અંતિમ સપ્તાહ દરમિયાન એટલે કે 21થી 31 જુલાઈ વચ્ચે મેઘમહેર થવાની સંપૂર્ણ શક્યતા છે. આમ, આગામી દિવસોમાં પવનનું જોર ઘટતાં ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય બનશે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. ખેડૂતો તેમજ સામાન્ય લોકો માટે આગામી દિવસોની આ આગાહી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *