રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

દિલ્હી હાઈકોર્ટે બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવને મોટો ઝટકો આપતા ચેક બાઉન્સના ઘણા કેસોમાં તેમની દોષસિદ્ધિને યથાવત રાખી છે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની બેંચે અભિનેતા રાજપાલ યાદવ દ્વારા નીચલી અદાલતના નિર્ણયને પડકારતી અરજીઓને ફગાવી દેતાં દોષસિદ્ધિને કાયમ રાખી છે.
અદાલતના આદેશ અનુસાર, પ્રત્યેક કેસમાં 1 કરોડ 4 લાખ 75 હજાર ફરિયાદીને અને 25 હજાર રાજ્યને ચૂકવવામાં આવશે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ કહ્યું કે રાજપાલ યાદવને અદાલતમાં આપવામાં આવેલા પોતાના અંડરટેકિંગનું પાલન કરવા માટે ઘણી તકો આપવામાં આવી હતી, પરંતુ તેમણે વારંવાર તક મળવા છતાં તેનું પાલન કર્યું નહીં.
ચેક બાઉન્સ કેસ શું છે?
રાજપાલ યાદવે 2010 માં એક ફિલ્મ બનાવી હતી. આનું નામ હતું ‘અતા પતા લાપતા’. ફિલ્મ માટે રાજપાલ યાદવે 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જોકે, રાજપાલ યાદવનું કહેવું હતું કે આ એક ઇન્વેસ્ટમેન્ટ હતું. રાજપાલ યાદવ આ લોન ચૂકવી શક્યા નહીં અને તે વધીને 9 કરોડ થઈ ગઈ. આ જ કેસમાં તેમણે 5 ફેબ્રુઆરી 2026 માં તિહાર જેલમાં સરેન્ડર કર્યું હતું. તે મુશ્કેલ સમયમાં સોનુ સૂદ સહિત ઘણા કલાકારોએ તેમની મદદ કરી હતી.
રાજપાલ યાદવે કહ્યું હતું- મારી પાસે 1200 કરોડનું કામ છે
રાજપાલ યાદવે એવું પણ કહ્યું હતું કે, ‘આવતા વર્ષોમાં મારી પાસે બ્રાન્ડિંગ માટે 1200 કરોડ રૂપિયાનું કામ છે. મારી પાસે 4 એગ્રીમેન્ટ છે, જેમાં ફિલ્મો સામેલ નથી. કોઈ પ્રોજેક્ટ 200 કરોડ રૂપિયાનો છે, તો કોઈ 2000 કરોડ રૂપિયાનો. આમાંથી કેટલીક ફી છે અને કેટલાક પ્રોજેક્ટ્સમાં શેર છે. મારી 10 ફિલ્મો લાઈનમાં છે.’
તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ રાજપાલ યાદવે કહ્યું હતું, ‘હું કહેવા માંગુ છું કે હું પૈસાથી ઘેરાયેલો છું, રાજપાલ ચાલતી-ફરતી ચેકબુક છે. હું પૈસા કમાઉં છું, હું લોકોને પૈસા કમાવવામાં મદદ કરું છું, અને ઘણા ઘરો આના પર નિર્ભર છે.’
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ રાજપાલ યાદવ ફિલ્મ ‘ભૂત બંગલા’ અને ‘વેલકમ ટુ ધ જંગલ’ માં જોવા મળ્યા હતા. બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.