2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 આરોપીને ફાંસી:11ને આજીવન કેદ; ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખતું હાઇકોર્ટનું ઐતિહાસિક જજમેન્ટ

ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2008ના અમદાવાદ સીરીયલ બ્લાસ્ટ કેસમાં એક ઐતિહાસિક અને મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આ આતંકી હુમલાના ગુનામાં નીચલી અદાલત (સ્પેશિયલ કોર્ટ) દ્વારા ફટકારવામાં આવેલી તમામ 38 દોષિતોની ફાંસીની સજાને મંજૂરી (કન્ફર્મ) આપી દીધી છે. 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓમાં 56 લોકોના મોત નીપજ્યા હતા અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વર્ષ 2022 માં સ્પેશિયલ કોર્ટે આ કેસના 38 આતંકીઓને ફાંસીની સજા સંભળાવી હતી, જે ભારતના ન્યાયિક ઈતિહાસમાં એકસાથે સૌથી વધુ લોકોને ફાંસી આપવાનો રેકોર્ડ હતો. હવે હાઈકોર્ટે પણ આ તમામ આતંકીઓની સજાને યથાવત રાખીને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
છઠ્ઠી જુલાઈ, 2008ના રોજ અમદાવાદ શહેરમાં સાંજે આશરે 70 મિનિટના ગાળામાં 21 સ્થળોએ એક પછી એક સિરિયલ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ હુમલાઓમાં 56 લોકોનાં મોત થયા હતા અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. શહેરમાં ભય અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો. વિસ્ફોટ બાદ થોડા જ સમયમાં શહેરની વિવિધ હોસ્પિટલોમાં પણ બોમ્બ મૂકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવતાં સમગ્ર દેશ હચમચી ગયો હતો.તપાસ પૂર્ણ થયા બાદ કુલ 78 આરોપીઓ સામે વિશેષ અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો હતો.
આઠમી ફેબ્રુઆરી, 2022ના રોજ અમદાવાદની વિશેષ અદાલતના ન્યાયાધીશ એ.આર. પટેલે 78માંથી 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા, જ્યારે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
- 18મી ફેબ્રુઆરી, 2022ના રોજ સજાનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. અદાલતે 38 દોષિતોને ગેરકાયદે પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ (UAPA) અને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ ફાંસીની સજા ફટકારી હતી.
- 11 દોષિતોને કુદરતી મૃત્યુ સુધી આજીવન કેદની સજા કરવામાં આવી હતી.
- 48 દોષિતો પર 2.85 રૂપિયા લાખ અને એક દોષિત પર 2.88 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
- કોર્ટે મૃતકોના પરિવારજનોને 1 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 50 હજાર રૂપિયા અને સામાન્ય ઇજાગ્રસ્તોને 25 હજાર રૂપિયા વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.