અમદાવાદ શહેરને મળ્યા નવા પોલીસ કમિશનર, આ સિનિયર IPS અધિકારીની થઈ વરણી

અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અમદાવાદના પોલીસ કમિશનર તરીકે નિમણૂક થઈ છે. વર્ષ 1997ની બેચના IPS અધિકારી અનુપમસિંહ ગેહલોત હવે અમદાવાદ પોલીસનું સુકાન સંભાળશે. આ અંગેની માહિતી ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જારી કરી બહાર પાડવામાં આવી છે.
તત્કાલિન અમદાવાદ કમિશનર જી. એસ. મલિકે રાજ્યના ડીજીપી (DGP) તરીકેનો પદભાર સંભાળ્યા બાદ અમદાવાદ પોલીસ વડાની મહત્વની જગ્યા ખાલી પડી હતી. આ ખાલી પડેલા સ્થાને સરકારે સુરતના વર્તમાન પોલીસ કમિશનર અને 1997 બેચના IPS અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરી છે. ગેહલોતની અમદાવાદ બદલી થવાને કારણે હવે સુરત પોલીસ કમિશનરની જગ્યા ખાલી થઈ છે, જેના પર હજુ સુધી સરકારે કોઈ નવા અધિકારીના નામની સત્તાવાર જાહેરાત કરી નથી. અગાઉ અનુપમસિંહ ગેહલોત સુરત ઉપરાંત વડોદરા અને રાજકોટ જેવા મોટા મહાનગરોમાં કમિશનર તરીકે સેવા આપી ચૂક્યા છે.
કોણ છે IPS અનુપમસિંહ ગેહલોત?
- 1997 બેચના IPS અધિકારી, ઉત્તર પ્રદેશના વતની
- બી.ઈ. (B.E.) તેમજ એમ.ટેક. (M.Tech.) સુધીનો ઉચ્ચ અભ્યાસ
- સૌપ્રથમ ભાવનગર અને ત્યારબાદ પાટણ જિલ્લામાં પોલીસ અધિક્ષક (SP) તરીકે ફરજ
- પ્રમોશન બાદ રાજકોટ અને વડોદરાના પોલીસ કમિશનર
- વડોદરા બાદ તેમની બદલી સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)માં કરવામાં આવી હતી
- અમદાવાદ કમિશનર તરીકે નિમણૂક પહેલા તેઓ સુરતના પોલીસ કમિશનર તરીકે કાર્યરત હતા