એર ઇન્ડિયાનું વિમાન પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસ્યું:દિલ્હીથી અમૃતસર માટે ઉડાન ભરી, ટેકનિકલ ખામીને કારણે રસ્તો ભટકી ગયું

એર ઇન્ડિયાની એક ફ્લાઇટ સોમવારે રાત્રે રસ્તો ભટકીને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં ઘૂસી ગઈ. તેને પાકિસ્તાનની એર ટ્રાફિક ઓથોરિટીએ ચેતવણી આપીને પાછી મોકલી. વિમાને દિલ્હીથી ઉડાન ભરી હતી અને તેને અમૃતસરમાં લેન્ડ થવાનું હતું.

પાકિસ્તાનના એરસ્પેસમાંથી જ્યારે ફ્લાઇટ પાછી ફરી, ત્યાં સુધીમાં અમૃતસર એરપોર્ટ પર ટ્રાફિક વધી ગયો હતો, આથી તેને પાછી દિલ્હી મોકલી દેવામાં આવી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું છે કે ટેકનિકલ ખામીને કારણે આ ફ્લાઇટ રસ્તો ભટકી ગઈ હતી. આ મામલે તપાસ ચાલી રહી છે.

આ પહેલા 12 જૂને પાકિસ્તાનની પેસેન્જર ફ્લાઇટ ફ્લાય જિન્ના-9P514 પણ ખરાબ હવામાનને કારણે ભારતીય એરસ્પેસમાં ઘૂસી ગઈ હતી. લાહોર એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી ફ્લાઇટ રસ્તો ભટકી ગઈ હતી. જોકે, ટેકનિકલ ખામીનો અંદાજ આવતા જ ફ્લાઇટને પાછી પાકિસ્તાની એરસ્પેસમાં લાવવામાં આવી.

એરપોર્ટ ઓથોરિટી પાસેથી મળેલી માહિતી મુજબ, એરબસ AI-321 વિમાને સોમવારે રાત્રે 9 વાગીને 18 મિનિટે દિલ્હીથી ઉડાન ભરી હતી. આ વિમાન તેના નિર્ધારિત સમય કરતાં 3 મિનિટ મોડું ઉડ્યું હતું. ઉડાન દરમિયાન વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.

વિમાનને રાત્રે 10 વાગીને 30 મિનિટે અમૃતસરમાં લેન્ડ થવાનું હતું, પરંતુ તે રૂટ પરથી ભટકી ગયું અને પાકિસ્તાનના એર સ્પેસમાં ઘૂસી ગયું. આ વાતની જાણ પાઇલટને પણ ત્યારે થઈ, જ્યારે પાકિસ્તાન એર ટ્રાફિક ઓથોરિટી તરફથી વિમાનને ચેતવણી મળવા લાગી.

આ ઘટનાના તરત જ પછી પાઇલટે વિમાનનો રસ્તો બદલ્યો અને યુ-ટર્ન લઈને પાછો ભારતના એરસ્પેસમાં આવ્યા. જોકે, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. સમય વીતી ગયા પછી વિમાન અમૃતસરની સીમામાં પહોંચ્યું, પરંતુ ટ્રાફિક વધવાથી વિમાનને ઉતરવાની મંજૂરી ન મળી.

એરપોર્ટ કંટ્રોલ રૂમમાંથી વિમાનને પાછું દિલ્હી જવાની સૂચના મળી. આ પછી વિમાન પાછું દિલ્હી ગયું, જ્યાં તેનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું. લગભગ 2 કલાક પછી ફરીથી મંજૂરી મળતા વિમાને અમૃતસર માટે ફરીથી ઉડાન ભરી અને સોમવાર-મંગળવારની મધ્યરાત્રિએ લગભગ 4 કલાકના વિલંબથી 2 વાગીને 20 મિનિટે અમૃતસર એરપોર્ટ પર સુરક્ષિત ઉતરી ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *