લખનઉમાં સુરતના તક્ષશીલા જેવી ઘટના, કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ:15 વિદ્યાર્થીના મોત

યુપીની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં સોમવારે બપોરે એક ત્રણ માળની બિલ્ડિંગમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે.
બીજા માળ પર ચાલી રહેલા કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓએ આગથી બચવા પોતાને બાથરૂમમાં બંધ કરી લીધા હતા. એક બાળકે પ્રથમ માળ પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો, પરંતુ તે નીચે ગ્રીલ પર પટકાતાં ગંભીર રીતે ઘાયલ થયો છે.

ફાયર બ્રિગેડની આશરે 10 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. આગ ઓલવવાની કામગીરીમાં એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ લગાવાયું છે. SDRF અને NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર ફાઈટરોએ બિલ્ડિંગની પાછળની દીવાલ તોડી છે, જેના દ્વારા મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હજી પણ અંદાજે 10 લોકો અંદર ફસાયેલા છે. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક ઘટનાસ્થળે પહોંચ્યા છે અને આશરે 14 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી છે.
બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ અને પહેલા માળે પેટ શોપ (પ્રાણીઓની દુકાન) અને ક્લિનિક હતા. બીજા માળે ‘લર્નિંગ સ્પેસ’ નામની લાઇબ્રેરી (કોચિંગ) અને ‘હેડ હોપર સ્ટુડિયો’ હતો, જેમાં 3D આર્ટ પ્રોડક્શન અને ગેમ એસેટ આઉટસોર્સિંગનું કામ થતું હતું.