ચોમાસાની એન્ટ્રીમાં વિલંબ થતાં હવે ગીર જંગલ સફારીની મુદત એક સપ્તાહ વધારાઈ

સાસણ ગીરની મુલાકાત લેવાનું આયોજન કરી રહેલા સિંહપ્રેમીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. વન વિભાગ દ્વારા ગીર જંગલ સફારીની મુદતમાં 7 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. હવે પ્રવાસીઓ 22 જૂન સુધી ગીરના જંગલોમાં સફારીનો આનંદ માણી શકશે અને એશિયાટિક સિંહોના દર્શન કરી શકશે.

સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત પહેલાં ગીર જંગલ સફારી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે. જોકે આ વર્ષે ચોમાસું મોડું આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વન વિભાગે સફારીની મુદત લંબાવવાનો નિર્ણય લીધો છે. જેના કારણે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને વધુ સમય સુધી ગીરના વન્યજીવનને નજીકથી નિહાળવાની તક મળશે.

વન વિભાગના જણાવ્યા મુજબ, 23 જૂનથી ગીર જંગલ સફારી સત્તાવાર રીતે બંધ કરવામાં આવશે. ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારમાં કુદરતી પરિસ્થિતિઓ અને વન્યજીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દર વર્ષે સફારી બંધ રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન સિંહો સહિત અન્ય પ્રાણીઓ માટે પણ અનુકૂળ વાતાવરણ સર્જાય છે.

ગીર એ વિશ્વમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે, જેના કારણે અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. આ વર્ષે અંદાજે બે લાખથી વધુ પ્રવાસીઓએ ગીરની મુલાકાત લઈને સિંહ દર્શનનો લાભ લીધો હોવાનું જાણવા મળ્યું છે. જેઓ હજુ સુધી ગીરની સફર પર જઈ શક્યા નથી, તેમના માટે આ એક ઉત્તમ તક છે. આગામી 22 જૂન સુધી સાસણ ગીરની મુલાકાત લઈને સિંહો અને અન્ય વન્યજીવોને તેમના કુદરતી રહેઠાણમાં જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *