સુરતના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે નવો વળાંક, મ્યુ.કમિશનરને દિલ્હીનું તેંડુ

સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા કથિત ભૂતિયા ડિમોલિશન મામલે હવે નવો વળાંક આવ્યો છે. આ સમગ્ર વિવાદ દિલ્હી સુધી પહોંચ્યો છે. મ્યુનિસિપલ કમિશનર એન. નાગરાજનને હાઈ કમાન્ડ તરફથી તેંડુ આવ્યું છે.
દિલ્હી ખાતે હાઈ કમાન્ડ દ્વારા કમિશનર પાસેથી સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી લેવામાં આવી છે. ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન થયેલી ગેરરીતિઓ અને જવાબદારી નક્કી કરવા અંગે પણ ચર્ચા થઈ છે. આ દરમિયાન હાઈ કમાન્ડે સમગ્ર મામલે નિષ્પક્ષ અને યોગ્ય તપાસ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. તપાસના આધારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.
મહત્વનું છે કે, મ્યુનિસિપલ કમિશનર એન. નાગરાજન આ મામલે બે અધિકારીઓ સામે કડક પગલાં લેવાની તૈયારીમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સાથે જ ડીસીપી નકુમ અને સોનારા સામે પણ કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નાસિરનગર ડિમોલિશન મામલો છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હવે હાઈ કમાન્ડની સીધી દખલગીરી બાદ સમગ્ર ઘટનાક્રમ પર સૌની નજર ટકેલી છે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારી નક્કી કરીને સંડોવાયેલા અધિકારીઓ સામે શું પગલાં લેવામાં આવે છે તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે.
સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે અનેક સવાલ
સુરતના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે 14 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થતાં અનેક સવાલો ઉઠ્યા હતા. તપાસ માટે રચાયેલી કમિટીને 70 કલાકથી પણ વધુ સમય વીત્યો હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નહોતી, ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનર એન. નાગરાજને દિલ્હી બોલાવવામાં આવતા હવે તાત્કાલિક એક્શન લેવાય તેવું લાગી રહ્યું છે.
ડિમોલિશન બાદ લગભગ 100 પરિવારો રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે. આ લોકોએ સમયસર કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.