તમિલનાડુમાં સત્તાનો જંગ: સરકાર રચવાનો કોયડો ગુંચવાયો, AIADMKના MLAને રિસોર્ટમાં ખસેડાયા

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોના 2 દિવસ બાદ પણ સરકાર રચવા અંગે અનિશ્ચિતતા યથાવત છે. રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલી ટીવીકે (TVK)ના નેતા વિજયે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો, પરંતુ રાજ્યપાલે બહુમતી ન હોવાનું જણાવી તેમને પરત મોકલ્યા છે. વિજયે 112 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો હતો, પરંતુ રાજ્યપાલે તેમને સરકાર બનાવવા માટે જરૂરી 118 ધારાસભ્યોનું સમર્થન લાવવા જણાવ્યું છે. આ ખેંચતાણ વચ્ચે હવે રાજ્યમાં ‘રિસોર્ટ પોલિટિક્સ’ની એન્ટ્રી થઈ છે.

પક્ષમાં ભંગાણના ડરથી AIADMKએ પોતાના 15 ધારાસભ્યોને પાડોશી કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી મોકલી દીધા છે. પુડુચેરીમાં NDAની સરકાર હોવાથી ત્યાં ધારાસભ્યો સુરક્ષિત રહેશે તેમ પક્ષ માની રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પલનીસ્વામીના નજીકના નેતા સી.વી. શન્મુગમે ‘ધ શોર ત્રિશ્વમ’ રિસોર્ટમાં 20થી વધુ રૂમ બુક કરાવ્યા છે. અનેક ધારાસભ્યો ત્યાં પહોંચી ગયા છે અને હજુ વધુ રૂમ બુક કરાવાય તેવી શક્યતા છે. AIADMKએ આ પગલું ત્યારે ભર્યું છે જ્યારે તેના કેટલાક ધારાસભ્યોએ વિજયની પાર્ટી ટીવીકેને સમર્થન આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

બીજી તરફ, રાજ્યના રાજકારણમાં સૌથી મોટો ઉલટફેર થવાની પણ શક્યતા સેવાઈ રહી છે. કટ્ટર હરીફ ગણાતા DMK અને AIADMK ગઠબંધન કરી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જાણવા મળ્યું છે કે બંને પક્ષો વચ્ચે પડદા પાછળ વાતચીત ચાલી રહી છે, જોકે હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. પોતાની પકડ મજબૂત રાખવા અને ધારાસભ્યોને એકજૂથ રાખવા માટે AIADMK અત્યારે તમામ પ્રયાસો કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે તમિલનાડુના સિંહાસન પર કોણ બિરાજશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *