કલમા પઢવાની ના પાડતા કરાયેલા હુમલા મામલે મુખ્યમંત્રી ફડણવીસનું મોટું નિવેદન

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના પરા વિસ્તાર મીરા રોડમાં બે સિક્યુરિટી ગાર્ડ્સ પર થયેલા હુમલાએ પહેલગામ હુમલાની યાદ અપાવી દીધી. મળતી માહિતી મુજબ ઝુબૈર અન્સારીએ બંનેને કલમા પઢવાનું કહ્યું અને જ્યારે આ બંનેએ પઢવાની ના પાડી દીધી તો તેણે તેમના પર ચાકૂથી  હુમલો કર્યો. આ ઘટના પર હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ ઘટના સેલ્ફ રેડિકલાઈઝેશનનો મામલો લાગે છે. તેમણે એમ પણ કહ્યું કે વ્યક્તિના ટાર્ગેટ પર હિન્દુઓ હતા. 

મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ના જણાવ્યાં મુજબ ફડણવીસે એક નિવેદનમાં કહ્યું કે, આ સેલ્ફ રેડિકલાઈઝેશનનો મામલો છે. કારણ કે આરોપીના ઘરમાંથી કેટલાક પુસ્તકો અને આપત્તિજનક સામગ્રી મળી આવી છે. તે અમેરિકામાં રહેતો હતો અને હાલમાં જ ભારત પાછો ફર્યો હતો. પ્રાથમિક તપાસથી જાણવા મળ્યું છે કે ઝુબૈર એક કટ્ટરપંથી બની ગયો હતો અને જેહાદના નામે હિન્દુ સમુદાયના લોકોને મારવા માંગતો હતો. આથી તેણે આ ઘટનાને અંજામ આપ્યો. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે અનેક એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. એ પણ જાણકારી મેળવવામાં આવશે કે શું તેમાં કોઈ મોટું નેટવર્ક સામેલ હતું. તેમણે કહ્યું કે, આ કેસની તપાસ હાલ એન્ટી  ટેરરિઝમ સ્ક્વોડ અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી NIA કરી રહી છે અને રાજ્ય સરકાર આ એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપી રહી છે. તપાસનો દાયરો ફક્ત આરોપીઓ સુધી સિમિત નહીં રહે પરંતુ તેમના નેટવર્કની પણ જાણકારી મેળવવામાં આવશે. કોઈ પણ ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરાશે. 

પોલીસના જણાવ્યાં મુજબ આ ઘટના રવિવારે સવારે મીરા રોડ ઈસ્ટમાં સવારે 4 વાગે ઘટી હતી. જ્યાં રાજકુમાર મિશ્રા અને સુબ્રતો સેન નામના સિક્યુરિટી ગાર્ડ્સ એક નિર્માણધીન ઈમારત પર ડ્યૂટી કરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે આરોપી ઝુબૈર અન્સારી ત્યારે તે વિસ્તારમાં જ હતો. ઝુબૈરે જ્યારે આ બંનેને જોયા તો તેમના નામ અને ધર્મ વિશે પૂછવા લાગ્યો. પછી આરોપીએ તેમને કલમા પઢવાનું કહ્યું. જ્યારે ગાર્ડે ના પાડી દીધી તો ત્યારે તેણે કથિત રીતે એક ચાકૂ  કાઢ્યું અને તેમના પર હુમલો કર્યો. હુમલામાં બંને ગાર્ડ્સને ગંભીર ઈજાઓ થઈ છે અને હાલ સારવાર હેઠળ છે. 

પોલીસે 31 વર્ષના આરોપી ઝુબૈર અન્સારીને ટ્રેક કરીને પકડી લીધો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે અન્સારી ઈન્ટરનેટ પર ISIS સંલગ્ન પ્રોપગેન્ડા વીડિયો વારંવાર જોતો હતો. આ અગાઉ અન્સારીએ 2019 સુધી અમેરિકામાં અભ્યાસ કર્યો છે અને હાલમાં જ તે ભારત પાછો ફર્યો. તે મીરા રોડમાં ભાડાના મકાનમાં એકલો રહે છે. પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે મકાન માલિકે તેને કથિત રીતે 5 મે સુધીમાં મકાન ખાલી કરવાનું કહ્યું હતું. પોલીસને હુમલાખોર પાસેથી કેટલીક આપત્તિજનક ચીજો પણ મળી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *