‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ… કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,’ ઈરાનની ચેતવણી

અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષ અને મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ સોમવારે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી હતી. સૈન્યએ ચેતવણી આપી હતી કે સ્ટ્રેટ પાર કરવાનો પ્રયાસ કરનાર કોઈપણ જહાજમાં આગ લગાવી દેવામાં આવશે. IRGCના આ નિર્ણયથી મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધ્યો છે અને વૈશ્વિક યુદ્ધનું જોખમ વધ્યું છે. ઈરાનના સરકારી મીડિયા અનુસાર, IRGC કમાન્ડર-ઇન-ચીફના વરિષ્ઠ સલાહકાર બ્રિગેડિયર જનરલ સરદાર ઇબ્રાહિમ જબારીએ સોમવારે સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરી હતી. ઈરાની સૈન્યએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે સ્ટ્રેટમાંથી પસાર થતા કોઈપણ જહાજને આગ લગાવી દેવામાં આવશે.

જબારીએ કહ્યું હતું કે, “હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે. જો કોઈ તેને પાર કરવાનો પ્રયાસ કરશે તો અમારા ગાર્ડ્સ અને નૌકાદળના કર્મચારીઓ તે જહાજોને આગ લગાવી દેશે.”

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા કેન્દ્રોમાંનું એક છે, જે વૈશ્વિક તેલ વપરાશનો લગભગ પાંચમો ભાગ તે માર્ગથી સપ્લાય થાય છે અને પર્સિયન ગલ્ફને ઓમાનના અખાત સાથે જોડે છે. સાઉદી અરેબિયા, કુવૈત, ઇરાક, કતાર, બહેરીન અને યુએઈમાંથી તેલ અને ગેસ આ સાંકડા સામુદ્રધુની દ્વારા આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચે છે. આ પુરવઠો મોટાભાગનો એશિયન દેશોમાં જાય છે, જેમાં ચીનનો પણ સમાવેશ થાય છે. યુએસ એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયા અને યુએઈ પાસે વૈકલ્પિક પાઇપલાઇન માર્ગો હોવા છતાં હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા મોટાભાગના ઉર્જા ભંડારો પાસે આ પ્રદેશમાંથી બહાર નીકળવાનો કોઈ યોગ્ય વિકલ્પ નથી.

પર્સિયન ગલ્ફને વૈશ્વિક બજારો સાથે જોડતા આ માર્ગના બંધ થવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થવાની સંભાવના છે. ઈરાને અગાઉ તણાવ દરમિયાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ  બંધ કરવાની ધમકી આપી હતી. જો કે, તે એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે, જ્યાં વાણિજ્યિક જહાજોને પરિવહનનો અધિકાર છે. ઈરાન અને ઓમાન તેના પ્રાદેશિક પાણીને નિયંત્રિત કરે છે. અગાઉ, ફેબ્રુઆરીમાં ઈરાને લશ્કરી કવાયતો દરમિયાન ટ્રાફિકને આંશિક રીતે પ્રતિબંધિત કર્યો હતો, જેના કારણે તેલના ભાવમાં 6 ટકાનો વધારો થયો હતો. સંપૂર્ણ નાકાબંધીની આ જાહેરાત 1980ના દાયકાના “ટેન્કર યુદ્ધ” પછી પહેલી વાર થઈ છે.

ખામેનીના મૃત્યુ પછી ફાટી નીકળેલી આગ પહેલાથી જ નાણાકીય બજારોને કટોકટીમાં ધકેલી ચૂકી છે. જો આ માર્ગ લાંબા સમય સુધી બંધ રહેશે તો વિશ્વભરમાં ઇંધણની તીવ્ર અછત સર્જાઈ શકે છે. નિષ્ણાતો માને છે કે આ માર્ગમાં કોઈપણ વિક્ષેપ વૈશ્વિક અર્થતંત્ર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય સમુદાય આ વ્યૂહાત્મક જળમાર્ગ પર નજીકથી નજર રાખી રહ્યું છે, કારણ કે ત્યાં કોઈપણ નાની લશ્કરી હિલચાલ મોટા યુદ્ધનું કારણ બની શકે છે. 

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *