બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો

Oplus_131072

શનિવારે બપોરે બનાસકાંઠા જિલ્લાના પાડલીયા ગામમાં આશરે 500 લોકોના ટોળાએ પોલીસ, વન અને મહેસૂલ વિભાગના અધિકારીઓ પર હુમલો કર્યો. આ ઘટનામાં કુલ 47 અધિકારીઓ ઘાયલ થયા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘાયલોમાંથી 36 લોકોને સારવાર માટે અંબાજી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 11 અધિકારીઓને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. તમામ ઘાયલોની હાલત હાલમાં સ્થિર છે. જોકે, હુમલો શા માટે થયો તે હજુ સુધી સ્પષ્ટ નથી.

બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે શનિવારે બપોરે 2:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી જ્યારે પોલીસ, વન અને મહેસૂલ વિભાગની સંયુક્ત ટીમ વન વિભાગના સર્વે નંબર 9 વિસ્તારમાં નર્સરી અને પ્લાન્ટેશન પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી. અચાનક, આશરે 500 લોકોના ટોળાએ ટીમ પર પથ્થરમારો શરૂ કર્યો અને ધનુષ્ય અને તીરનો પણ ઉપયોગ કર્યો. આ વિસ્તાર દાંતા તાલુકામાં આવેલો છે, જે પ્રખ્યાત યાત્રાધામ અંબાજીથી લગભગ 14 કિલોમીટર દૂર છે.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પાડલીયા ગામમાં વન વિભાગની જગ્યાને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદના સમાધાન કે કાર્યવાહી માટે જ્યારે પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ટીમ ગામમાં હાજર હતી, ત્યારે અચાનક સ્થાનિકોનું એક મોટું ટોળું ધસી આવ્યું હતું અને ટીમને ઘેરી લઈને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પથ્થરમારા ઉપરાંત તીર-કામઠા વડે પણ હુમલો કરવામાં આવ્યો છે.

બીજી તરફ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે તાત્કાલિક અનેક ટીયર ગેસના સેલ છોડ્યા હતા, પરંતુ ટીયર ગેસ છોડ્યા બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી અને ટોળું વધુ આક્રમક બન્યું હતું. આ હુમલામાં સૌથી ગંભીર ઇજા અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર (PI) આર.બી. ગોહિલને થઈ છે. તેમની હાલત નાજુક બનતા LCB દ્વારા સારવાર માટે તાત્કાલિક પાલનપુર રીફર કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *