અંકલેશ્વર-વાલિયા રોડ પર ભયાનક અકસ્માત:રીક્ષા-બાઇક વચ્ચે ટક્કર બાદ આગ, એક મહિલા જીવતી ભૂંજાઈ

આજે વહેલી સવારે અંકલેશ્વર-વાલિયા રોડ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. રીક્ષા-બાઇક વચ્ચે ટક્કર બાદ આગ લાગી હતી. જેમાં એક મહિલા જીવતી ભૂંજાઈ છે, તો અન્ય ચાર લોકો દાઝ્યા છે. આ ઘટનામાં ચંપાબહેન વસાવા નામના મહિલા આગમાં જીવતા સળગી ગયા હતા. આગ એટલી ઝડપી ફેલાઈ હતી કે, ચંપાબેન બહાર નીકળવાનો પ્રયાસ પણ ન કરી શક્યા અને આગમાં હોમાયા હતા.

તો રીક્ષામાં સવાર અન્ય બાબકુકુમાર, શર્મિષ્ઠા બહેન, નીલાબહેન ત્રણ લોગો ગંભીર રીતે દાઝ્યા છે. તેઓને પ્રથમ સારવાર ગડખોલ PHC બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ અકસ્માતમાં ચાલક સહિત એક યુવાનનો આબાદ બચાવ થયો છે. અકસ્માતની ઘટના બાદ આગ લાગતા જ તાત્કાલિક ફાયર વિભાગ પહોંચ્યું હતું. આગ પર DPMC ફાયર વિભાગે કાબૂ મેળવ્યો છે. જોકે, ઘટનાને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. આગના કારણે રસ્તા પર ધુમાડો ફેલાતાં અને વાહનો અટવાઈ જતાં રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં બંને વાહનો ધડાકાભેર ભટકાતા અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે