
બાવળા નજીક આવેલા બગોદરા ગામેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ અંગે વિગતે વાત કરીએ તો, બગોદરા બસ સ્ટેશન પાસે આવેલી એક ઘરમાં આ કરુણ બનાવ બન્યો હતો. મૃતક પરિવાર મૂળ ધોળકાનો વતની હતો અને છેલ્લા કેટલાક સમયથી બગોદરામાં ભાડાના મકાનમાં રહેતો હતો. પરિવારનું ગુજરાન ચલાવવા માટે પિતા રિક્ષા ચલાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, પરિવારમાં પતિ, પત્ની, બે દીકરીઓ અને એક દીકરાનો સમાવેશ થાય છે. અગમ્ય કારણોસર આ પરિવારે રાત્રે કોઈ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે પાંચેય મૃતદેહોનો કબજો લઈ બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. હાલ વધુ તપાસ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવશે. આ સામૂહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામની યાદી
(1) વિપુલ ભાઈ કાનજી ભાઈ વાઘેલા (દેવી પૂજક) ઉ.વ. 34 પતિ
(2)સોનલ બેન વિપુલ ભાઈ વાઘેલા ઉ.વ.26 (પત્ની)
(3) સીમરન વિપુલ ભાઈ વાઘેલા ઉ.વ.11 (દીકરી )
(4) મયુર વિપુલ વાઘેલા ઉ.વ. 08 (દીકરો)
(5) પ્રિન્સી વિપુલ વાઘેલા ઉ.વ. 05 (દીકરી )
તમામ મૂળ રહે ધોળકા બારાકોઠા હાલ રહે બગોદરા બસ સ્ટેન્ડ પાસે
