
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ મીઠી ખાડી નજીક આવેલા રહેણાંક મકાનમાં લાગેલી આગના કારણે પાંચ લોકોના દુઃખદ મોત થયા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ ઉભો કર્યો છે.
માહિતી મુજબ, આ મકાનમાં સાડી પેકિંગનું કામ ચાલતું હતું અને અંદર મોટી માત્રામાં સાડીઓ તથા પેકિંગ માટે વપરાતું ફોમ સામગ્રી રાખવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ઇલેક્ટ્રિક સ્વીચબોર્ડમાંથી નીકળેલી ચીંગારીને કારણે ફોમમાં આગ લાગી હતી. આ ફોમમાં રહેલા કેમિકલને કારણે ભારે ધુમાડો ફેલાયો, જે અત્યંત ઝેરી સાબિત થયો.
આ ધુમાડાના કારણે ઘરમાં રહેલા લોકો ગૂંગળાઈ ગયા અને બહાર નીકળી શક્યા નહીં. આ દુર્ઘટનામાં ચાર મહિલાઓ અને એક નાનકડા બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આગ એટલી ઝડપથી ફેલાઈ કે બચાવ માટે સમય જ મળ્યો નહીં. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.આ દુર્ઘટનાએ ફરી એકવાર રહેણાંક વિસ્તારોમાં સલામતીના નિયમો અને જ્વલનશીલ સામગ્રીના સંગ્રહ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ખાસ કરીને જ્યાં ઘર અને કામ બંને એક જ જગ્યાએ ચાલે છે, ત્યાં વધુ સાવચેતી રાખવાની જરૂર છે. મૃતકોમાં શહેનાઝ બેગમ અબ્દુલ કલામ અંસારી (65), હુસા બેગમ અબ્દુલ કલામ અંસારી (18), શુભાન રમઝાન અલી અંસારી (4), શબીનાં રમઝાન અલી અંસારી (28) અને પરવીન અબ્દુલ કલામ અંસારી (19)નો સમાવેશ થાય છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: PM મોદીની સિંહગર્જના : જગતને જોડવાનું કામ ગુજરાતની ધરતી પરથી થઈ રહ્યું છે
