Site icon Time News

દિગ્ગજની 3 વૉર્નિંગ; પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે, ડૉલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી વધશે

મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા)માં વધી રહેલા સૈન્ય તણાવ અને હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી નાકાબંધીના કારણે ભારતીય અર્થતંત્ર અને સામાન્ય જનતા પર મોંઘવારીનો મોટો આંચકો આવવાના સંકેતો મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF)ના પૂર્વ ડેપ્યુટી એમડી અને હાર્વર્ડના પ્રોફેસર ગીતા ગોપીનાથે ભારત માટે ‘ત્રિપલ વોર્નિંગ’ જારી કરી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ જો આગામી જૂન મહિના સુધી વધુ ઘેરો બનશે, તો ભારત માટે આર્થિક મોરચે કપરા ચઢાણ સાબિત થશે. આઇએમએફ (IMF)ના પૂર્વ ડેપ્યુટી એમડી ગીતા ગોપીનાથે ચેતવણી આપી છે કે, ભારત પોતાની જરૂરિયાતના મોટાભાગના ઓઈલ અને ગેસ માટે મિડલ ઈસ્ટ પર નિર્ભર હોવાથી અહીં માત્ર ભાવ વધારાની જ સમસ્યા નથી, પરંતુ આગામી દિવસોમાં ઇંધણની ભારે અછત પણ સર્જાઈ શકે છે. 

ભારત માટે ત્રણ મુખ્ય ચેતવણીઓ ઉચ્ચારી

1. પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઉછાળો: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચું તેલ (Crude Oil) પ્રતિ બેરલ $140ની સપાટીએ પહોંચી શકે છે, જેના કારણે સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઝીંકાશે.

2. મોંઘવારી અને ઓછી આર્થિક વૃદ્ધિ: ઇંધણ મોંઘું થવાના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે અને દેશમાં મોંઘવારીનો નવો આંચકો આવશે.

3. રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ: ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ડૉલર સામે જે રૂપિયો 91ના સ્તરે હતો તે ઘટીને અત્યારે 97ની નજીક પહોંચી ગયો છે. જો કે, તેમણે ઉમેર્યું કે આરબીઆઈએ રૂપિયાના 100ના આંકડાને વટાવવાના મનોવૈજ્ઞાનિક દબાણમાં આવ્યા વગર રોજગાર અને ઉત્પાદન પર ધ્યાન આપવું જોઈએ.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ₹7 થી ₹9નો વધારો શક્ય

ભારતમાં તાજેતરમાં જ 15મે ના રોજ ₹3 અને 19 મે ના રોજ 90 પૈસા મળીને બે વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. એનર્જી એક્સપર્ટના જણાવ્યા અનુસાર, વિશ્વના અન્ય દેશોએ હોર્મુઝ સંકટના કારણે પોતાના દેશમાં ઇંધણના ભાવ 80 ટકા સુધી વધારી દીધા છે, જ્યારે ભારતમાં હજુ આશરે ₹4નો જ વધારો ઝીંકાયો છે. તેલ કંપનીઓને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹7 થી ₹9 પ્રતિ લીટરનો ઝીંકાય તેવા સ્પષ્ટ સંકેતો છે, જો કે આ વધારો એકસાથે કરવાને બદલે તબક્કાવાર (ધીમે-ધીમે) કરવામાં આવશે.

સરકાર પાસે મર્યાદિત વિકલ્પો

ગીતા ગોપીનાથે સ્પષ્ટ કર્યું છે કે આ વૈશ્વિક સંકટ ભારત સાર્વભૌમ રીતે અટકાવી શકે તેમ નથી. આવી સ્થિતિમાં સરકાર સામાન્ય જનતા અને મોટી કંપનીઓને બચાવવા માટે થોડી આર્થિક રાહત આપશે તો સરકારની રાજકોષીય ખાધ (Fiscal Deficit)માં મોટો વધારો નોંધાશે. જો કે, તેમણે ભારતીય અર્થતંત્રની મજબૂતી પર ભરોસો વહેડાવતા કહ્યું કે દેશમાં ગંભીર મંદી આવે તેવી કોઈ શક્યતા નથી કારણ કે ભારતના આંતરિક આર્થિક સેક્ટર્સ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે.

Exit mobile version