
અમદાવાદના નવા વાડજથી મોટા સમાચાર સામે આવ્યા છે. નવા વાડજના AMTS બસ ડેપોની વર્ષો જૂની દીવાલ ધરાશાય થઈ હતી, જેમાં એક યુવક દટાવાથી તેનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ, અહીંના કાટમાળને દૂર કરવામાં આવી રહ્યું છે અને દુર્ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, મંગળવારે (16 સપ્ટેમ્બર) સવારે નવા વાડજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની AMTS શ્રીનાથ બસ ડેપોની દીવાલ ધરાશાયી થઈ હતી. આ ત્યાં પાસે ઊભેલા એક 30 વર્ષનો સુરેશ ભરવાડ નામનો યુવક કાટમાળમાં દટાયો હતો. જોકે, દીવાલ પડતાની સાથે જ સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યુવકને કાટમાળમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ સિવાય આસપાસ રહેલા વાહનોને પર દીવાલ પડતા વાહનોને પણ ભારે નુકસાન થયું હતું.