
જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હૂમલાને પગલે ગુજરાતમાં એલર્ટ અપાયું છે. રાજ્યના મોટા ધાર્મિક સ્થળો પર એલર્ટ અપાયું છે. સોમનાથ, અંબાજી અને દ્વારકાની સુરક્ષામાં વધારો કરાયો છે. તે ઉપરાંત પાકિસ્તાન નજીકની કચ્છ બોર્ડર પર પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. પોલીસ ધાર્મિક સ્થળો પર ડોગ સ્ક્વોર્ડ સાથે ચેકિંગ શરૂ કરી દીધું છે. દરેક મોટા જાહેર સ્થળો પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આતંકી હૂમલાને પગલે અંબાજી, પાવાગઢ સહિતના મંદિરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સ્નાઈપર્સને સ્ટેન્ડ બાય કરાયા છે. એરપોર્ટ અને રેલવે સ્ટેશન સહિતની જગ્યાઓ પર પોલીસે ચેકિંગ શરૂ કરી દીધું છે. અમદાવાદ સહિતના શહેરોમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે ડોગ અને બોમ્બ સ્ક્વોર્ડને સાથે રાખીને ચેકિંગ શરૂ કર્યું છે. તમામ ધાર્મિક અને જાહેર સ્થળો પર સુરક્ષામાં વધારો કરી દેવાયો છે.
બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે અંબાજી મંદિરમાં સ્નાઇપર સ્ટેન્ડબાય કરી દેવાયા છે. જ્યારે એસઓજીની ટીમ પણ મંદિર ખાતે તહેનાત કરી દેવાઇ છે. ક્વિક રિસ્પોન્સ ટીમ પણ આજથી મંદિરમાં રહેશે. મંદિરમાં આવતા તમામ શ્રદ્ધાળુઓનું ચેકિંગ કરવામાં આવશે, જ્યારે કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટેની તમામ તૈયારીઓ કરી દેવાઇ છે.
અમદાવાદ શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં અને કોમી એકતા તૂટે નહીં એ માટે પોલીસે માઇક્રો લેવલનું પ્લાનિંગ કરી લીધું છે. શહેર પોલીસે ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવી દીધો છે. જ્યારે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યુ છે. ક્રાઇમ બ્રાંચ, એટીએસ, લોકલ ક્રાઇમ બ્રાંચ સહિત સ્થાનિક પોલીસ ભેદી ગતિવિધિઓ પર નજર રાખી રહી છે.
આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે અમદાવાદની શાંતિ ડહોળાય નહીં એ માટેની તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. પોલીસ હંમેશાં એલર્ટ હોય છે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં બનેલી ઘટના બાદ કોમ્યુનલ વાયોલન્સ ફેલાય નહીં એ માટે વધુ એલર્ટ આપી દેવાયું છે. સોશિયલ મીડિયા પર પોલીસ વોચ રાખશે. જ્યારે શકમંદો પર પણ નજર રાખવામાં આવશે. જો કોઇ શકમંદ એક્ટિવિટી દેખાશે તો પોલીસ જરૂરથી કાર્યવાહી કરશે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવશે.
