Site icon Time News

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં પાર્થિવ દેહના પોસ્ટમોર્ટમ, ફોરેન્સિક તપાસ અને સ્ટોરેજની અત્યાધુનિક સુવિધા

અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આવી ભીષણ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારોની વેદના શબ્દોમાં વર્ણવી અશક્ય છે.

આ કપરા સમયે, તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા એ છે કે દરેક દિવંગત આત્માના પાર્થિવ દેહની ગરિમા જળવાય અને અત્યંત સન્માન સાથે તેમની અંતિમ વિદાયની પ્રક્રિયાઓ પૂર્ણ થાય.

આવી માસ કેઝ્યુઆલિટીની સ્થિતિને પહોંચી વળવા અને દરેક પાર્થિવ દેહને વૈજ્ઞાનિક ઢબે સાચવી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલની અત્યાધુનિક મોર્ચ્યુરી અને ફોરેન્સિક સુવિધા ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહી છે.

આ સુવિધા કઈ રીતે કાર્ય કરે છે અને તેની વિશેષતાઓ શું છે તે અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડૉ. ધર્મેશ પટેલે હોસ્પિટલની અત્યાધુનિક પોસ્ટમોર્ટમ અને મોર્ચ્યુરી સુવિધા અંગે વિગતો આપતા જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં અધ્યતન સુવિધાઓ સાથેનું પોસ્ટમોર્ટમ રૂમ અને મોર્ચ્યુરી સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.

આ સુવિધાની ક્ષમતા એટલી ઉચ્ચ છે કે અહીં વધુ સંખ્યામાં પાર્થિવ દેહોને લાંબા સમય સુધી સાચવી શકાય છે અને એકસાથે ફોરેન્સિક તપાસ અને પોસ્ટમોર્ટમ જેવી તમામ કાર્યવાહી થઈ શકે છે.

આ સેન્ટરની વિશેષતા વર્ણવતા તેમણે જણાવ્યું કે, અહીં અત્યંત સેપ્ટિક હોય તેવા મૃતદેહો અથવા તો જે કેસમાં કોવિડ પ્રોટોકોલ જેવી ગંભીર તકેદારી રાખવાની હોય, તેવા કેસોમાં પણ પોસ્ટમોર્ટમ થઈ શકે તેવી સુરક્ષિત વ્યવસ્થા છે.

મૃતદેહોને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે અહીં ખાસ HVAC (હિટિંગ, વેન્ટિલેશન, એર કન્ડિશનિંગ) સિસ્ટમ સાથેના સ્ટોરેજ રૂમ આવેલા છે.

આ ઉપરાંત, બિલ્ડીંગ પાસે ૮૦થી વધુ એમ્બ્યુલન્સ પાર્ક થઈ શકે તેવું વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉપલબ્ધ છે.

આ સુવિધા માત્ર પોસ્ટમોર્ટમ પૂરતી સીમિત નથી, પરંતુ શિક્ષણ અને તાલીમનું પણ એક ઉત્તમ કેન્દ્ર છે. અહીં એક અધ્યતન ઓબ્ઝર્વેશન ગેલેરી બનાવવામાં આવી છે, જ્યાં બેસીને ૩૦ જેટલા મેડિકલ વિદ્યાર્થીઓ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા લાઈવ નિહાળી શકે છે.

એટલું જ નહીં, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU), FSL, પોલીસ વિભાગ તેમજ ન્યાયાધીશો પણ પોસ્ટમોર્ટમ સંબંધિત તાલીમ મેળવી શકે તે માટે ઇમારતના પહેલા માળે એક વિશેષ તાલીમ ખંડ પણ બનાવવામાં આવ્યો છે.

ડૉ. પટેલે અંતમાં ઉમેર્યું કે, આ સમગ્ર સુવિધાનો મૂળભૂત હેતુ મૃતકના પાર્થિવ દેહને પૂરા સન્માન સાથે સાચવવાનો, અત્યંત કાળજીપૂર્વક પોસ્ટમોર્ટમ કરવાનો અને ગરિમાસભર વિદાય આપવાનો છે.

આ પણ વાંચો, Ahmedabad plane crash: આ છે વિમાન દુર્ઘટનાની બચાવ કામગીરીના રિયલ હીરોઝ, 108 એમ્બ્યુલન્સની એ ટીમ જે દુર્ઘટના બાદ સૌ પ્રથમ પહોંચી

https://www.instagram.com/timenewsguj/reels

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version