
બેડલા ગામની સીમમાં પશુબલી સ્થળે વિજ્ઞાન જાથા અને પોલીસ ત્રાટકી હતી. જેમાં ભુવા સહિત માનતા કરનારાઓ મુઠ્ઠી વાળીને ભાગી ગયા હતા. સદીઓથી પશુ–પક્ષીની બલી આપવાની પ્રથા, પરંપરા ભારતમાં જોવા મળે છે. ધર્મશ્રદ્ધા, માનતાના નામે વર્તમાન સમયે પશુબલી ચડાવવાની ઘટના બને છે ત્યારે ભારત જન વિજ્ઞાન જાથાએ પશુબલી અટકાવવાનું દેશવ્યાપી અભિયાન આદર્યું છે. તેના ભાગરૂપે રાજકોટ તાલુકાના બેડલા ગામની સીમમાં માતાજીના મઢે પોલીસ સાથે પહોંચતા ભુવા સહિત માનતા કરનારાઓ મુઠ્ઠી વાળીને ભાગી જવામાં સફળ થયા હતા. ભુવો બોકળાનો પ્રસાદ ગાડીમાં લઈ અંધારામાં નાસી ગયો હતો. એક બોકળાની બલીના ચિહ્નો અને ૪ બોકળાને સીમમાં છોડી મુકતા મળી આવ્યા ન હતા. ચૈત્ર માસમાં પશુબલીની માહિતી પુરાવા સાથે આપવા જાથાએ અપીલ કરી હતી.
બનાવની વિગત પ્રમાણે વિજ્ઞાન જાથાના કાર્યાલયે ત્રણ જીવદયા પ્રેમી અને બેડલા ગામમાંથી માહિતી આપવામાં આવી હતી તેમાં સીમમાં માતાજીના મઢે પશુબલી ચડાવવાની છે. આ મઢમાં દર પંદર-વીસ દિવસે પશુબલી ચડાવવામાં આવે છે. તેમાં ભુવા સહિત નામો આપવામાં આવેલ તેમાં ધનાભાઈ, કુળજીભાઈ, મુકેશભાઈ, ધર્મેશભાઈ, પુરાભાઈનો દિકરો, ધનજીભાઈ વિગેરેના સાગ્રીતો, ભુવાનું ફોર વ્હીલ વગેરે આધાર મુકવામાં આવ્યા હતા. તાત્કાલિક ગુન્હો બનતો અટકાવવા જાથાની મદદ માંગી હતી. બલીનો સમયગાળો ઓછો હોવાથી જાથાએ ધ્યાન દોર્યું હતું.
જાથાના ચેરમેન–એડવોકેટ જયં પંડયાએ રાજકોટ પોલીસ કમિશ્નર, એરપોર્ટ પોલીસ સ્ટેશનને પત્ર મોકલી મદદની માંગણી કરતાં પી.આઈ. આઈ. એન. સાવલીયાએ જાથાને પોલીસ વાન સહિત સ્ટાફ ફાળવી દીધો હતો. રાજકોટથી જાથાના વડા જયંત પંડયાના વડપણ હેઠળ રોમિતભાઈ રાજદેવ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, રામભાઈ આહિર સહિત જીવદયા મિત્રો પોલીસ સ્ટેશને પહોંચતા તુરંત પશુબલી ઘટના સ્થળે પહોંચ્યા. બેડલા ગામની સીમમાં આવેલ માતાજીના મઢે જાથા–પોલીસનો કાફલો પહોંચતા મઢના રસ્તામાં આડશ, કાંટા મુકવામાં આવ્યા હતા. તેને દૂર કરે ત્યાં અંદર પશુબલી સ્થળે નાસભાગ થઈ ગઈ. બોકળાનો પ્રસાદ લઈ ભુવો ભાગી ગયો હતો. ૪ બોકળા સીમમાં મુકી દીધા. મોટાભાગના લોકો મુઠ્ઠી વાળીને ભાગ્યા હતા. અંદર મઢે બોકળાનું લોહી ટપકતું હતું, અગરબત્તી–ધુપ ચાલુ હતો. ટોપરાનો પ્રસાદ અને બોકળાનું માથું સળગતી હાલતમાં જોવા મળ્યું. મઢમાં દિવા ચાલુ હતા. પશુબલીવાળા ભાગી જવામાં સફળ થયા હતા. સીમમાં માત્ર પોલીસ – જાથા હતું. ગામમાંથી એકપણ માહિતી આપવા આવ્યું ન હતું. લોકો આસ્થાના કારણે પોતાનું નામ જાહેર કરવા માંગતા ન હતા.
જાથાના જયંત પંડયાએ સમગ્ર ગુજરાતમાં ચૈત્રી નોમ સુધી બીજ, પુનમ, અમાસ દિવસે પશુબલીની માહિતી આધાર-પુરાવા સાથે લોકોને અપીલ કરી છે. સ્થાનિકોએ મદદ કરવી જરૂરી છે. જાથાએ બેડલા ગામની સીમ, રફાળા, ફાળદંગ, રામપરા, પારેવાડા સ્થળોએ પોલીસ સાથે તપાસ કરી પશુબલીનો તાગ મેળવ્યો હતો. જાથાએ ૪ બોકળાના જીવ બચાવ્યા હતા. ચોક્કસ હાજર નામની જાણકારી ન હોય આગળની કાર્યવાહી કરી ન હતી. પરંતુ પશુબલી કરનારાઓએ ભાગવું પડયું હતું.
આ પણ વાંચો, Waqf Bill: આજે સંસદમાં રજૂ કરાશે વકફ બિલ, વકફ બિલ પર NDA એકજૂટ, વિપક્ષની યોજના નિષ્ફળ!
