
25 મે, 2024ના દિવસે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ ગેમ ઝોન પાસે ફાયર NOC જ નહોતું. હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્ય સરકારે ગાઇડલાઇન તો જાહેર કરી, પણ હજુ સુધી સ્વજન ગુમાવનારા પરિવારોને ન્યાય મળ્યો નથી. ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. જેથી પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે ફરી એકવાર આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. જેમાં આગામી પાંચ દિવસ સુધી કોંગ્રેસ દ્વારા વિવિઘ કાર્યક્રમો યોજવામાં આવશે, જેની શરૂઆત આજથી (20 મે, 2025)થી કરવામાં આવી છે.
આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિકોણબાગ ખાતે ભાજપ હાય હાય સહિતના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્રિકોણબાગથી મનપા કચેરી સુધીની રેલી શરૂ કરતાની સાથે જ પોલીસ દ્વારા કોંગ્રેસના તમામ કાર્યકર્તાની અટકાયત કરી લેવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા મ્યુ. કમિશરનો ઘેરાવ કરવાનું આયોજન કરાયું હતું, જેને લઈને સાવચેતીના ભાગરૂપે મનપા કચેરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ અંગે વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, મ્યુ. કમિશનર ભાજપનું પીઠું છે. અમારા દ્વારા તેઓને ફરિયાદી બની પદાધિકારીઓ સામે ફરિયાદ નોંધાવવા વારંવાર રજૂઆતો કરવામાં આવી ચૂકી છે. છતાં આખું વર્ષ વીત્યા બાદ પણ તેમણે આવી કોઈપણ કાર્યવાહી કરી નથી. તેઓ ભાજપના નેતાઓનાં ઈશારે કામ કરી રહ્યા છે. ટીઆરપી અગ્નિકાંડમાં દોષનો ટોપલો હાલમાં સાગઠિયા ઉપર ઢોળી દેવામાં આવ્યો છે, પરંતુ તેઓએ ડિમોલિશનની નોટિસ આપ્યા બાદ તેને અટકાવનાર કોઈ ભાજપના નેતા જ હોય તે સ્વાભાવિક છે. જેની સામે આજ સુધી કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને મૃતકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા આગામી 25 મેં સુધી વિવિધ કાર્યક્રમો આપી તંત્રને જગાડવા પ્રયાસ કરવામાં આવશે. તો પ્રિમોન્સૂન કામ સામે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતાં.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, આગામી 25મી મેના રોજ આ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થશે, પરંતુ પીડિત પરિવારોને હજુ સુધી સાચો ન્યાય મળ્યો નથી. અનેક તપાસો થઈ, અધિકારીઓની ધરપકડ થઈ, પરંતુ પીડિતોના આંસુ હજુ સુકાયા નથી. તેમજ પદાધિકારીઓ સામે કોઈ પગલાં લેવાયા નથી. આથી કોંગ્રેસ હવે ચૂપ બેસવા માંગતી નથી. પીડિતોને ન્યાય અપાવવા માટે તમામ સંભવ પ્રયાસો કરશે. જેમાં અજે ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસના કાર્યકરો, પીડિત પરિવારોના સભ્યો અને ન્યાય માટે લડનારા નાગરિકો દ્વારા પદયાત્રા યોજી મનપા કમિશનરને રજૂઆત કરાશે. જોકે, આ પહેલા ત્રિકોણબાગથી તમામની અટકાયત કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો, Corona: તંત્ર થયું દોડતું; ભારતના આ શહેરમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું, 2ના મોત, 53 પોઝિટિવ
