પૂજારાએ શાનદાર 17મી સદી ફટકારી, કહ્યુ કે કોઇ અન્ય પીચ હોત તો 140-150 રન કર્યા હોત
ચેતેશ્વર પુજારાએ મેલબોર્ન બોક્સિંગ ટેસ્ટમાં 106 રન ફટકારી પોતાના કરિયરની 17મી સદી નોંધાવી હતી. ગાંગુલીએ 188 ઇંનિંગ્સમાં 16 સેન્ચુરી મારી હતી જયારે લક્ષમણે 225 ઇંનિંગ્સમાં 17 સદી ફટકારી હતી. પુજારા 112 ઇંનિંગ્સમાં તેમનાથી આગળ નીકળી ગયો હતો. પુજારાના કરિયરની સૌથી ધીમી સદીની સહાયથી બીજા દિવસના અંતે ભારતનો હાથ ઉપર છે. બોક્સિંગ ડે ટેસ્ટમાં સદી ફટકારનાર પાંચમો ભારતીય બનનાર પુજારાએ કહ્યું હતું કે બેટ્સમેન બાદ હવે બોલર્સ પર 20 વિકેટ લઈ ભારતને મેચ જીતાડવાની જવાબદારી રહેશે.
પુજારાએ કહ્યું હતું કે હું પીચ અને પરિસ્થિતિ પ્રમાણે પોતાને ઢાળવામાં માનુ છું. ગઈકાલ કરતા આજે બેટિંગ કરવી બહુ અઘરી હતી. પીચમાં અનઇવન બાઉન્સ છે જેના લીધે એક બેટ્સમેન તરીકે તમે ગમે ત્યારે માત ખાઈ શકો છો. મેં બીજી કોઈ વિકેટ પર આટલાં બોલ રમ્યા હોત તો 140 થી 150 રન કર્યા હોત પણ અહીંયા શોટ-મેકિંગ ઘણું મુશ્કેલ છે. હું મારા ફોર્મથી ખુશ છું પરંતુ અમે પરિણામ માટે રમી રહ્યા છીએ અને તેથી બોલર્સ 20 વિકેટ લઈને મેચ જીતાડે તેના પર જ અમારું ફોક્સ છે.
આજે ગુરુવારે ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી ગઈ કાલની ઈનિંગ આગળ ધપાવી હતી. પુજારાએ 66 રન અને કેપ્ટન વિરાટ કોહલી 47 રનેથી ઈનિંગ આપગળ ધપાવતા બીજા દિવસે પહેલા સેશનમાં ભારતે 28 ઓવરમાં કોઇ જ વિકેટ ગુમાવ્યા વગર 62 રન ઉમેર્યા હતા. ભારતનો કુલ સ્કોર 117 ઓવરમાં 277/2 હતો. આ સમયે ચેતેશ્વર પુજારા 103 રન અને વિરાટ કોહલી 69 રન બનાવીને અણનમ હતા. તે દરમિયાન લંચ બ્રેક પડ્યો હતો. ચેતેશ્વર પુજારા 280 બોલમાં બાઉન્ડ્રી ફટકારી પોતાની સદી પૂર્ણ કરી હતી. પરંતુ બ્રેક બાદ વધુ 3 રન ઉમેરી પુજારા આઉટ થયો હતો. આમ 106 રન બનાવી પુજારા પેવેલિયન પરત ફર્યો હતો.