રામનવમીના દિવસે ઈન્દોરમાં મંદિરમાં વાવ પરની છત પડી, 13 લોકોના નિધન, PM મોદીએ CM સાથે ફોન પર કરી વાતચીત
ભારત દેશમાં રામનવમીના દિવસે ઈન્દોર થી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે એક, ઈન્દોરના સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં પગથિયાંની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો પગથિયાંથી ઢંકાયેલા કૂવામાં પડી ગયા હોવાનું સામે આવ્યું છે. જેને લઈ હવે તંત્ર દ્વારા તમામને બચાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આ તરફ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે રામનવમી પર ઈન્દોરના મંદિરમાં થયેલા અકસ્માત અંગે વાત કરી છે. પીએમ મોદીએ તેમની પાસેથી વર્તમાન સ્થિતિ વિશે માહિતી લીધી હતી.
મધ્યપ્રદેશનાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું કે ઈન્દોર દુર્ઘટનામાં 12 લોકોનું મોત થયું છે. મૃતકોનાં પરિવારને 4-4 લાખનું વળતર આપવામાં આવશે.મધ્યપ્રદેશના ઈન્દોર સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં મોટી દુર્ઘટના સામે આવી છે. કૂવા નજીકનાઅ પગથિયાં ધરાશાઈ થતાં 25થી 50 લોકો ત્યાં કૂવામાં પડ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ કૂવામાં પડેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અકસ્માત બાદ પણ લાંબા સમય સુધી ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને 108ની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ન હતી. માહિતી અનુસાર આશરે 12 લોકોનું આ દુર્ઘટનામાં મોત થયું છે.
મહત્વનું છે કે, કેટલાક લોકોને કોઈક રીતે બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. ઘટના બાદ જે લોકો પડી ગયા હતા તેમના સંબંધીઓ અસ્વસ્થ છે. અત્યાર સુધીમાં પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ તરફ ઘટનાની જાણ થતાં જ સ્થળ પર વહીવટી સ્ટાફ અને વરિષ્ઠ અધિકારીઓ પણ પહોંચી રહ્યા છે. આ સાથે પોલીસે રાહત કાર્ય શરૂ કરી દીધું છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે જેઓ કૂવામાં પડ્યા છે તેમની શું હાલત છે. તેમને દોરડા વડે બહાર કાઢવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, તેઓ ઈન્દોરની ઘટનાથી ખૂબ જ દુઃખી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે વાત કરી અને સ્થિતિ વિશે પૂછપરછ કરી. રાજ્ય સરકાર બચાવ અને રાહત કાર્યમાં ઝડપથી આગળ વધી રહી છે. મારી પ્રાર્થના તમામ અસરગ્રસ્તો અને તેમના પરિવારો સાથે છે.
અકસ્માત અંગે સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, અમે બધા પુરી તાકાતથી બચાવ કાર્યમાં લાગેલા છીએ. હું સતત સંપર્કમાં છું. અત્યાર સુધીમાં 10 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, હજુ 10 વધુ લોકો અંદર છે. અમે વધુ સારા સંસાધનોનો ઉપયોગ કર્યો છે, સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.